Publish Date: Tue, 12 May 2020 (17:04 IST)
Updated Date: Tue, 12 May 2020 (17:04 IST)
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, 14મી મે, ગુરુવારથી રાજકોટમાં જિલ્લા કલેક્ટરની મંજૂરીથી ઉદ્યોગ-ધંધા શરૂ કરવામાં આવશે. કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ઉદ્યોગ ધંધો, ઇન્ડસ્ટ્રીને ફરીથી ચાલુ કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામા આવી છે. રાજકોટનો સમાવેશ અગાઉથી જ ઓરેન્જ ઝોનમાં કરવામાં આવ્યો હતો. પરંતુ એક અઠવાડિયા સુધી કોઇ ઉદ્યોગો શરૂ કરવામાં ન આવે તેવી સૂચના જિલ્લા
વહિવટી તંત્રને આપવામાં આવી હતી. છેલ્લા એકાદ અઠવાડિયામાં નવો કેસ ન નોંધાતા સરકારે આજે નિર્ણય કર્યો છેકે ગુરુવાર 14 મેના રોજથી રાજકોટ શહેરમાં પણ ઉદ્યોગ ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના તમામ જિલ્લા કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા પોલીસ વડાઓ અને રેન્જ આઇ.જી. સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી છે. જેમાં 17મી મે પછી લોકડાઉનની સ્થિતિમાં કઇ રીતે
છૂટછાટ આપી શકાય અને કેવી તકેદારી-સાવચેતી રાખવી તેની જિલ્લાવાર સમીક્ષા સાથે સ્થિતીનો ચિતાર મેળવી ચર્ચાઓ હાથ ધરી છે. આ કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા.