Publish Date: Tue, 18 Feb 2020 (10:49 IST)
Updated Date: Tue, 18 Feb 2020 (11:50 IST)
ભુજ નજીક આવેલી સહજાનંદ ગર્લ્સ હોસ્ટેલ સંચાલિકાએ કેટલીક યુવતીઓના માસિક ધર્મ દરમિયાન કપડાં ઉતરાવતા હોબાળો મચ્યો હતો. વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ સંચાલિકાના વર્તનથી નારાજ થઇ હતી. ત્યારબાદ આ વિવાદ ધીમે ધીમે વધતો જાય છે. ત્યારે ફરીવાર એક નવા વિવાદે જન્મ લીધો છે. કચ્છના સ્વામિનારાયણ મંદિરના સંત સ્વામી કૃષ્ણસ્વરૂપે આજે ભક્તોને સંબોધન કર્યું હતું. તેમણે સંબંધોનમાં માસિક ધર્મ અંગે પણ વાત કરતા કહ્યું હતું કે, 'એક વખત માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથના રોટલા ખાઈ જાઓ એટલે બીજો જનમ બળદનો જ છે. તમને જે લાગવું હોય એ લાગે આ શાસ્ત્રની વાત છે. જ્યારે સ્ત્રી માસિક ધર્મમમાં હોય અને પોતાના ઘરમાં પતિને રોટલા ખવડાવે તો તેનો બીજો આવતાર કૂતરીનો જ છે. આવું કહેવાથી બધાને કડક લાગે.'સ્વામી કૃષ્ણ સ્વરૂપે વધુમાં જણાવ્યું હતું કે, 'હવે આ ટકોર કરવી કે ન કરવી. 10 વર્ષ પછી ટકોર કરી છે. સંતો ના પાડતા હતા આ ધર્મની સિક્રેટ વાત ન કરતા. પરંતુ કહીએ નહીં તો ખબર નથી પડતી. હવે માસિક ધર્મમાં હોય અને તમે એના હાથના રોટલા ખાઈ જાઓ. એને પણ ભાન નથી કે આ ત્રણ દિવસ આ મારો ધર્મ છે તપશ્ચર્યા છે. આની તમને કેટલી ડિટેલ વાતો કરવી. એક એક વસ્તુ શાસ્ત્રની મર્યાદિત વાતો છે આ.'રસોઈ બનાવતા શિખી જાઓ નહીં તો નરકમાં જવા તૈયાર રહો 'મને પણ ક્યારેક સંકોચ થાય કે શું ટકોર ટકોર કરવી. પરંતુ ન કરીએ તો ક્યાં જઈએ. માટે ચેતો. રસોઈ બનાવતા શિખી જાઓ નહીં તો નરકમાં જવા માટે તૈયાર રહો' એવું નિવેદન પણ તેમણે કર્યું હતું.