Publish Date: Thu, 20 Jul 2023 (18:40 IST)
Updated Date: Thu, 20 Jul 2023 (18:46 IST)
જગુઆર કાર 160 કિ.મી.ની સ્પીડે હોવાનો કારમાં સવાર લોકોની પુછપરછમાં ખુલાસો
પોલીસે પકડેલા આરોપીઓએ કહ્યું ઈસ્કોન બ્રિજ પર પહોંચ્યા ત્યારે સ્ટ્રીટ લાઈટ નહોતી જેના કારણે આગળ શું છે તે દેખાયું નહીં
અમદાવાદઃ શહેરમાં ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 9 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું મોત થયું છે. પોલીસે અકસ્માત સર્જનાર આરોપી તથ્ય પટેલ, તેના પિતા પજ્ઞેશ પટેલ, 3 યુવતી સહિત 6ની અટકાયત કરી છે. હવે આ તમામ લોકોની મેડિકલ તપાસ કરવામાં આવશે. તે ઉપરાંત તેમણે નશો કર્યો છે કે નહીં તે અંગેની પણ તપાસ થશે. પોલીસે આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ ભોગ બનનારના પરિવારને ધમકી આપવા અંગે ધરપકડ કરી હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યાં છે.
ગાડીમાં તથ્ય પટેલ સહિત 6 લોકો સવાર હતાં
સુત્રો તરફથી જાણવા મળેલ વિગતો પ્રમાણે અકસ્માત થયો તે સમયે કાર 160ની સ્પીડમાં ચાલી રહી હતી. કારમાં મ્યુઝિક સિસ્ટમ મોટા અવાજે ચાલી રહી હતી. જેના કારણે બહારનો કોઈ પણ અવાજ સંભળાઈ રહ્યો નહોતો. ગાડીમાં તથ્ય પટેલ સહિત 6 લોકો સવાર હતાં. આ તમામ ગાડીમાં મસ્તી કરી રહ્યાં હતાં. લોકોથી બચવા માટે આ પાંચેય લોકો ત્યાંથી ફરાર થઈ ગયાં હતાં એવું કારમાં સવાર લોકોએ પોલીસની પુછપરછમાં જણાવ્યું છે.કારમાં સવાર લોકોએ પોલીસને કહ્યું હતું કે, રાત્રે ઈસ્કોન બ્રિજ પર પહોંચ્યા ત્યારે સ્ટ્રીટ લાઈટ નહોતી જેના કારણે આગળ શું છે તે દેખાયું નહીં અને અકસ્માત થયો હતો.
પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી
તથ્ય સાથે જેગુઆરમાં આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા, ધ્વનિ અને માલવિકા પટેલ હતી. આ પાંચેયની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આ પાંચેય તથ્ય સાથે મોહમદપુરા પાસે આવેલા એક કેફેમાં ભેગા થયા હતા. બધા ત્યાંથી રાજપથ ક્લબ તરફ જવા નીકળ્યા હતા. જેગુઆરમાં આગળની સીટ પર એક આમાંની એક યુવતી તથ્ય સાથે બેઠી હતી. બધા સાથે અભ્યાસ કરે છે. જ્યારે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની ધમકી આપવા બદલ અટકાયત કરી છે.