૮ માર્ચે જન્મેલી દીકરીને ગુજરાત સરકાર પાંચ ગ્રામ ચાંદીનો સિક્કો આપશે
Publish Date: Wed, 07 Mar 2018 (12:37 IST)
Updated Date: Wed, 07 Mar 2018 (13:47 IST)
'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ' ૮ માર્ચે છે ત્યારે તેની ઉજવણી અંતર્ગત મહિલા શક્તિને વધાવવા અને બિરદાવવા ગુજરાત સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૃપે ૮ માર્ચે ગુજરાતમાં જન્મ લેનારી પ્રત્યેક દીકરીના જન્મને 'નન્હી પરી અવતરણ' તરીકે વધાવી લેવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૃપાણી સિવીલ હોસ્પિટલ-અમદાવાદ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સોલા સિવીલ હોસ્પિટલ જઇને ૮ માર્ચે જન્મેલી દીકરીના પરિવારજનોને એકતરફ લક્ષ્મીજી, બીજી તરફ સરસ્વતી માતાની મુદ્રાવાળો પાંચ ગ્રામનો ચાંદીનો સિક્કો, અર્પણ કરશે. જેની સાથે ગુલાબનું ફૂલ, મીઠાઇ, ઝભલું, ટોપી, મોજાં, સાબુ સાથે મમતા કીટ અર્પણ કરીને દીકરીના જન્મને વધાવશે. આ જ રીતે વિધાનસભાના અધ્યક્ષ અને મંત્રી મંડળના સભ્યો સમગ્ર સવારે ૮ થી ૯ દરમિયાન રાજ્યમાં અલગ-અલગ હોસ્પિટલોમાં જઇને દીકરીના અવતરણના ઓવારણા લેશે. ૮ માર્ચે બપોરે ૨ વાગ્યાથી મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનું મહિલા સંમેલન યોજાશે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની સ્વસહાય જૂથની બહેનોને સાત મારૃતિ ઇકો વાનની ચાવી અર્પણ કરાશે. ૧૩ જિલ્લા, ૧૩ તાલુકામાં આજીવન ગ્રામીણ એક્સપ્રેસ યોજના અંતર્ગત પરિવહન સેવા પૂરી પાડવા સરકારનું આયોજન છે.
આગળનો લેખ