Publish Date: Sat, 29 Aug 2020 (15:53 IST)
Updated Date: Sat, 29 Aug 2020 (15:55 IST)
ગુજરાત રાજ્યમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જેથી રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આવતીકાલે એટલે કે 30 તારીખે હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યુ છે. તો 31 તારીખે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે સૌરાષ્ટ્ર તેમજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેના ભાગરૂપે આજથી 3 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.ગુજરાતમાં અત્યારસુધી મોસમનો 100%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જોકે, આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવે તેની પૂરી સંભાવના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમના 15 ગેટ ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 3 લાખ 9 હજાર 763 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. 15 ગેટમાંથી 3 લાખ 9 હજાર 532 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 131.25 મીટર પર પહોંચી ગઈ છે જ્યારે પાછી છોડાતા નદી કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નર્મદા ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવાનું છે જેને કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.