Publish Date: Thu, 14 Oct 2021 (09:37 IST)
Updated Date: Thu, 14 Oct 2021 (09:40 IST)
રાજ્યની શાળાઓમાં ધો. 6થી12માં વર્ગખંડ શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ધો. 1થી 5ના વર્ગખંડનું શિક્ષણ કયારે ચાલુ કરવામાં આવશે તે બાબતે અનિશ્વિતતા પ્રવર્તી હતી.રાજ્ય કેબિનેટની બુધવારે મળેલી બેઠકમાં આ બાબતે ચર્ચા થઇ હતી તેવું શિક્ષણ અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ધો. 1થી5ના વર્ગખંડનું શિક્ષણ દિવાળી પછી શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ધો. 1થી5માં આશરે 48 લાખ બાળકો હોવાનું શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે. ધો. 1થી5માં અભ્યાસ કરતાં બાળકો માર્ચ-2020થી ઘરબેઠા ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. હજુ પણ તેઓ ઓનલાઇન શિક્ષણ જ મેળવે છે, પણ ધો. 6થી8 અને ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં જઈને વર્ગખંડ શિક્ષણ શરૂ કરાયું છે.
ધો. 6થી8માં 2 સપ્ટેમ્બરથી વર્ગખંડ શિક્ષણ ચાલુ કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં સ્કૂલોને પુન:ધબકતી કરવા માટે બુધવારે મળેલી કેબિનેટમાં ચર્ચા થઇ હતી તેમ મંત્રી જીતુ વાઘાણીનું કહેવું છે. તેમના કહ્યા પ્રમાણે સ્કૂલો શરૂ કરવા માટે અમે તૈયાર છીએ,દિવાળી પછી ધો. 1થી5માં વર્ગખંડ શિક્ષણ શરૂ કરવાનું આયોજન છે.