Publish Date: Tue, 05 Jun 2018 (12:43 IST)
Updated Date: Tue, 05 Jun 2018 (12:45 IST)
ઉત્તર ગુજરાતના ડીસા પાલનપુર હાઈવે પર ફાયરીંગમાં હત્યાનો બનાવ બન્યા બાદ નવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. એક યુવતીને કારણે આ હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું છે. યુવતી બળાત્કારનો કેસ કરવાની ધમકી આપીને વેપારીને બ્લેકમેલ કરી રહી હતી. આ યુવતીએ અન્ય વેપારીઓને પણ પોતાના શિકાર બનાવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત રવિવારે પાલનપુરમાં થયેલા ફાયરિંગમાં સંગીતા જોશીનું નામ બહાર આવ્યું છે. ગાંધીધામના વેપારી નરસિંગ અગ્રવાલ સંગીતાના પરિચયમાં આવ્યા હતા. આ પછી સંગીતાએ ગાંધીધામના વેપારી નરસિંહ અગ્રવાલને ઘરે બોલાવી બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. સંગીતાએ પોતાના સાગરીત વિશાલ પંચાલ અને ભાજપના નેતાના પુત્ર વિજય સિરવાડિયા સાથે મળીને અગ્રવાલ બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આ પછી ફરિયાદ ન કરવા માટે 35 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, છેલ્લે આઠ લાખ રૂપિયામાં સમાધાન કરવાનું નક્કી કરાયું હતું. સમાધાન પછી વેપારીને સંગીતાએ જલ્સા કરવાના બહાને બોલાવ્યો હતો. જોકે, વેપારી અગ્રવાલ પહોંચ્યો ત્યારે સંગીતા હાજર નહોતી. સંગીતાના સાગરીતો હાજર હતા અને તેમણે આઠ લાખ રૂપિયા આપવા માટે કહ્યું હતું. આ પછી રવિવારે પાલનપુર-ડીસા હાઇવે પર આવેલી હોટલ રામ ઝુપડી હોટલ પર સમાધાન માટે ગાંધીધામના વેપારીને બોલાવાયો હતો. વેપારીએ સંગીતાને હાજર રાખવાનો આગ્રહ રાખ્યો હતો. આ જ મુદ્દે તકરાર પછી વિશાલે ફાયરિંગ કરતાં વેપારી સાથે આવેલા યુવકને ગોળી વાગતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સંગીતા જોશીએ અગાઉ પણ દાંતીવાડા પાસે આવી જ રીતે એક યુવકને લૂંટ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સંગીતા જોશીના ઘરે તપાસ કરતાં તેના ઘરેથી એક ડાયરી મળી આવી છે. ડાયરીમાં ડીસા અને પાલનપુરના અનેક વેપારી, ડોક્ટરોના નામો હોવાની ચર્ચા છે. જોકે, સંગીતા અને બંને આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર છે. તે પકડાયા પછી વધુ વિગતો સામે આવશે.
webdunia
Publish Date: Tue, 05 Jun 2018 (12:43 IST)
Updated Date: Tue, 05 Jun 2018 (12:45 IST)