Publish Date: Fri, 07 Aug 2026 (11:47 IST)
Updated Date: Fri, 07 Aug 2026 (12:12 IST)
રાજ્યના રૂ.10 લાખથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત આપતાં રાજ્ય સરકારે તબીબી ખર્ચની મંજૂરી સંબંધિત નાણાકીય સત્તાઓમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નવી વ્યવસ્થા અંગે જાહેરાત કરી છે. નવી નીતિ મુજબ હવે વિવિધ વહીવટી સ્તરે જ મેડિકલ બિલ મંજૂર કરવાની નવી સત્તાઓ સોંપવામાં આવી છે, જેથી કર્મચારીઓને પોતાના બિલ પાસ કરાવવા માટે લાંબો સમય રાહ નહીં જોવી પડે અને સમગ્ર પ્રક્રિયા વધુ ઝડપી બનશે.
નવી સત્તા વહેંચણી મુજબ, હવે રૂ.25 હજાર સુધીના તબીબી બિલ સંબંધિત કચેરીના વડા પોતે જ મંજૂર કરી શકશે. જ્યારે રૂ.1 લાખ સુધીના ખર્ચને ખાતાના વડા, રૂ.3 લાખ સુધીના બિલને સંબંધિત વહીવટી વિભાગ અને રૂ.5 લાખ સુધીના મોટા મેડિકલ બિલને આરોગ્ય મંત્રી કક્ષાએથી મંજૂરી આપવામાં આવશે. આ વિકેન્દ્રીકરણના કારણે બિલ મંજૂરીની ફાઇલો અલગ-અલગ વિભાગોમાં અટવાઈ રહેવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી મેડિકલ બિલની મંજૂરી પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનશે. ખાસ કરીને ગંભીર બીમારી કે તાત્કાલિક સારવાર બાદ નાણાં છૂટા થવામાં થતો વિલંબ હવે દૂર થશે, જેનો સીધો આર્થિક લાભ લાખો કર્મચારીઓ અને તેમના પરિવારોને મળશે. સરકારનું આ પગલું રાજ્યના કર્મચારીઓના કલ્યાણ અને સુવિધાની દિશામાં એક અત્યંત સકારાત્મક અને મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યું છે.