Publish Date: Sat, 14 Mar 2026 (17:22 IST)
Updated Date: Sat, 14 Mar 2026 (17:33 IST)
ઇરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના કારણે સર્જાયેલી વૈશ્વિક અશાંતિની અસર હવે ગુજરાતના રસોડા સુધી પહોંચી છે. રાજ્યમાં ઘરેલું અને કોમર્શિયલ ગેસની અછત વર્તાઈ રહી હોવાના અહેવાલો વચ્ચે ગેસ એજન્સીઓ પર લાંબી કતારો જોવા મળી રહી છે. આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી કેટલાક તત્વો ગેસના કાળાબજાર કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠતા રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી નાગરિકોએ ખોટો ગભરાટ (Panic) રાખવાની જરૂર નથી.
લોકોની સુવિધા માટે અને ગેસ વિતરણમાં થતી ગેરરીતિઓ અટકાવવા માટે રાજ્ય સરકારે ખાસ હેલ્પલાઈન નંબર 1800-233-0222 જાહેર કર્યો છે. જો કોઈ ગ્રાહકને ગેસ સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડે, એજન્સી દ્વારા વધુ ભાવ વસૂલવામાં આવે અથવા કાળાબજાર થતા જણાય, તો તેઓ આ નંબર પર સીધી ફરિયાદ કરી શકશે. સરકાર આ હેલ્પલાઈન દ્વારા ફરિયાદોનું ઝડપી નિરાકરણ લાવી વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવા પ્રયાસ કરી રહી છે.