Publish Date: Fri, 28 May 2021 (19:56 IST)
Updated Date: Fri, 28 May 2021 (20:02 IST)
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3 હજારથી ઓછા કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2521 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 7,965 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,50,015 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 93.36 ટકાએ પહોંચ્યો હતો.
આજે રાજ્યમાં કુલ 4730 હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રથમ ડોઝ અને 5561 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના લોકો 82301 લોકોને પ્રથમ ડોઝ અને 29610 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 18-45 સુધીનાં 1,14,339 લોકોને રસીનાં પ્રથમ ડોઝ અપાઇ ચુક્યાં છે.
જો રાજ્યનાં એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં આજે કુલ 43,611 કિસ્સા નોંધાયા છે. જે પૈકી 562 લોકો વેન્ટિલેટર પર છે. 43049 લોકો સ્ટેબલ છે. 7,50,015 લોકોને ડીસ્ચાર્જ આપવામાં આવ્યા છે. 9761 લોકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, અને જામનગર કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયા છે.
આ ઉપરાંત વડોદરા 1, અમરેલી 1, જુનાગઢ 1, રાજકોટ 1, ગીર સોમનાથ 1, આણંદ 1, મહેસાણા 2, જામનગર 1, મહીસાગર 1, દેવભૂમિ દ્વારકા 1, ભાવનગર 1, પાટણ 2, અને અરવલ્લીમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 27 દર્દીઓના મોત થયા છે.