Publish Date: Sat, 08 Aug 2026 (13:39 IST)
Updated Date: Sat, 08 Aug 2026 (13:48 IST)
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે સામાન્ય મુસાફરો પર રિક્ષા ભાડા વધારાનો મોટો બોજ આવી પડ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રિક્ષાચાલકોની માંગણીને મંજૂરી આપ્યા બાદ નવા સુધારેલા ભાડા દરો અમલમાં આવી ગયા છે. આ નવા રેટ કાર્ડ મુજબ હવે ઓટોરિક્ષાનું મિનિમમ ભાડું સીધું વધીને રૂ. 25 થઈ ગયું છે, જે અગાઉ પ્રથમ 1.2 કિલોમીટર માટે રૂ. 10 હતું.
નવા ભાડા ધોરણ અનુસાર, પ્રથમ 1.2 કિલોમીટર પછીના અંતર માટે મુસાફરોએ પ્રતિ કિલોમીટર રૂ. 20 લેખે ચાર્જ ચૂકવવો પડશે. આ ઉપરાંત રિક્ષા મીટરમાં દર 200 મીટરે રૂ. 4 નો વધારાનો ચાર્જ ઉમેરાતો જશે. રાત્રિના સમયે એટલે કે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નિર્ધારિત ભાડા પર 50 ટકા વધારાનો નાઇટ ચાર્જ લાગુ પડશે, તેમજ ટ્રાફિક કે અન્ય રોકાણ દરમિયાનનો વેઇટિંગ ચાર્જ પણ મુસાફરે અલગથી ચૂકવવાનો રહેશે.
આ ભાડાવધારાની સૌથી વધુ વિપરીત અસર ટૂંકા અંતરની દૈનિક મુસાફરી કરતા નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને ગૃહિણીઓ પર પડશે. સામાન્ય રીતે રોજિંદા કામકાજ માટે નજીકના સ્થળોએ ઓટોરિક્ષાનો ઉપયોગ કરતા લોકોનું દૈનિક બજેટ ખોરવાઈ જશે. ખાસ કરીને ટૂંકા અંતરમાં મિનિમમ ભાડામાં થયેલો આ મોટો ઉછાળો સામાન્ય નાગરિકોના માસિક ખર્ચ પર સીધો બોજ નાખશે.
ઈંધણ અને સંચાલન ખર્ચ વધવાના કારણે રિક્ષાચાલકો લાંબા સમયથી ભાડા વધારાની માંગ કરી રહ્યા હોવાથી તેમનામાં રાહતની લાગણી જોવા મળી રહી છે. જોકે બીજી તરફ, પર્યાપ્ત જાહેર પરિવહનના અભાવે રિક્ષા પર નિર્ભર રહેતા સામાન્ય મુસાફરોમાં ભારે નારાજગી છે. શાકભાજી અને ખાદ્યતેલ સહિતની ચીજવસ્તુઓના વધતા ભાવ વચ્ચે હવે રોજિંદી મુસાફરી પણ મોંઘી બનતા સામાન્ય લોકો માટે ઘરખર્ચનું ગણિત વધુ મુશ્કેલ બન્યું છે.