શાળાઓ ખુલતાની સાથે જ સુરતની શાળામાં આગ લાગી
Publish Date: Mon, 10 Jun 2019 (11:54 IST)
Updated Date: Mon, 10 Jun 2019 (11:55 IST)
સુરતના તક્ષશિલા આર્કેડ ખાતે લાગેલી આગની ઘટના બાદ તમામ સ્કૂલોને ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા તથા સાધનોના ઉપયોગ અંગે તાકીદ કરવામાં આવી હતી, જેને પગલે જ સુરતની એક સ્કૂલમાં મોટી જાનહાનિ થતા બચી ગઈ હતી. સ્કૂલ સત્રના પહેલા જ દિવસે ગોપીપુરા વિસ્તારમાં આવેલી રાયચંદ દિપચંદ સ્કૂલની મીટર પેટીમાં શોર્ટસર્કિટની ઘટના બની હતી. આજથી જ રાજ્યભરમાં સ્કૂલોનો પ્રારંભ થયો હતો. ત્યારે સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલી રાયચંદ દિપચંદ સ્કૂલમાં પણ શૈક્ષણિક સત્રની આજથી શરૂઆત થઈ છે. સવારે વિદ્યાર્થીઓ જ્યારે ગેટથી સ્કૂલમાં એન્ટ્રી કરી રહ્યા હતા ત્યારે સ્કૂલ બહાર ઉભેલા રીક્ષા ચાલક દિપકભાઈની નજર અચાનક સ્કૂલની મીટર પેટી પર ગઈ હતી, જ્યાં શોર્ટસર્કિટ થયું હતું. તેમણે તરત જ સ્કૂલના 76 વર્ષના પટાવાળા શ્રવણ પટેલને જાણ કરી હતી. શ્રવણભાઈ સ્કૂલમાં મુકેલી ફાયર બોટલ લઈ દોડ્યા હતાં, અને મીટર પેટીમાં સ્પ્રેનો છંટકાવ કર્યો હતો. જેથી આગ કાબૂમાં આવી ગઈ હતી. ઘટના અંગે ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. જોકે રીક્ષા ચાલક અને પટાવાળાની સમય સૂચકતા અને ફાયરના સાધનો ચલાવવાની ટ્રેનિંગને કારણે મોટી ઘટના બનતા અટકી ગઈ હતી.
આગળનો લેખ