Publish Date: Thu, 18 Mar 2021 (16:00 IST)
Updated Date: Thu, 18 Mar 2021 (16:01 IST)
મૃત વાઘના ચામડાની ખાલ વેચવા નીકળેલા ત્રણ શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગોલલીમડા ખાતેથી ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ વાઘની ખાલ રૂ. 2.50 કરોડમાં વેચવા ફરતાં હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છટકું ગોઠવી ત્રણેયની ધરપકડ કરી વાઘની ચાર ખાલ કબ્જે કરી હતી. આ ખાલ ગુલબાઇ ટેકરામાં રહેતા મોહન રાઠોડ પાસેથી બે વર્ષ પહેલાં આ ખાલ ખરીદી હતી. પોલીસે મોહન રાઠોડની પણ ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એસ જે બલોચે જણાવ્યું હતું કે બાતમી મળી હતી કે નૈલેશ જાની (રહે. ગોળલીમડા), રણછોડ પ્રજાપતિ (રહે. આસ્ટોડિયા) અને અલ્પેશ ધોળકીયા (રહે. માણેકચોક) એક્ટિવા પર મૃત વાઘની ખાલ વેચવા ફરી રહ્યા છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે છટકુ ગોઠવી અને તમામની ગોળલીમડા ખાતેથી ધરપકડ કરી હતી. રૂ. 2.50 કરોડમાં આ ખાલ તેઓને વેચવાની હતી. તાંત્રિક વિધિ કે અન્ય કોઈ કામ માટે ખાલ વેચવાની હતી કે કેમ તેની તપાસ ચાલુ છે. આ ખાલ ક્યાંથી ખરીદી તે બાબતે પૂછપરછ કરતાં ગુલબાઇ ટેકરાના મોહન રાઠોડ પાસેથી ખરીદી હતી. પોલીસે મોહન રાઠોડની ધરપકડ કરી પૂછપરછ કરતા બે વર્ષ પહેલાં આ ખાલ કર્ણાટકના કોઈ શખ્સ પાસેથી ખરીદી હતી.