Publish Date: Thu, 02 Jul 2020 (15:34 IST)
Updated Date: Thu, 02 Jul 2020 (15:42 IST)
રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસે તૈયારીઓ આદરી દીધી છે. તેના ભાગ સ્વરૂપે કોંગ્રેસ દ્વારા બેઠક દીઠ સિનિયર નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલને જવાબદારી સોંપાઈ છે. તો તુષાર ચૌધરી, ગૌરવ પંડ્યા,પૂંજાભાઈ વંશ અને પરેશ ધાનાણીને એક બેઠકની જવાબદારી સોંપાઈ છે. સિનિયર નેતાની સેન્સ લેવાથી લઇ ચુંટણી લડાવવા સુધીની કામગીરીમાં મહત્વની ભૂમિકામાં રહેશે.
ગુજરાતમાં ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવાની છે. બે-બે વાર હારનો સ્વાદ ચાખનાર કોંગ્રેસના નેતાઓને પેટા ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવતા પક્ષમાં ગણગણાટ શરૂ થયો છે. જે અંતર્ગત અર્જુન મોઢવાડીયાને રાધનપુર બેઠક, જ્યારે સિધાર્થ પટેલને થરાદની જવાબદારી સોંપવામાં આવી છે.
આ બંને નેતાઓ 2012 અને 2017માં ચૂંટણી હાર્યા હતા. જ્યારે 2014 અને 2019ની લોકસભા ચૂંટણી હારેલા જગદીશ ઠાકોરને ખેરાલુ બેઠકની જવાબદારી સોંપાઈ છે. તો છેલ્લી બે લોકસભા ચૂંટણી હારેલા તુષાર ચૌધરીને મોરવાહડફ બેઠક જીતાડવાની જવાબદારી આપવામાં આવી છે. 2009 અને 2014માં હારેલા મધુસુદન મિસ્ત્રીને બાયડની જવાબદારી જ્યારે 2009માં અમદવાદા પૂર્વ લોકસભાની બેઠક હારેલા દિપક બાબરીયાને અમરાઈવાડીની જવાબદારી સોંપવામાં આવી છે.
ગઢડા - શક્તિસિહ ગોહિલ
લીંમડી - અર્જુન મોઢવાડીયા
ડાંગ - તુષાર ચૌધરી
કપરાડા - ગૌરવ પંડ્યા
ધારી - પુંજાભાઇ વંશ
કરજણ - સિધ્ધાર્થ પટેલ
મોરબી - પરેશ ધાનાણી
અબડાસા - શક્તિસિહ ગોહિલ