Publish Date: Fri, 19 Jun 2020 (15:18 IST)
Updated Date: Fri, 19 Jun 2020 (15:18 IST)
આજે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે જંગ ખેલાશે. ત્યારે બંને પક્ષોનો સવારથી ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજ્યસભાની ચૂંટણીમાં આજે સવારે 9 થી સાંજે 4 દરમિયાન મતદાન યોજાશે. ચાર બેઠકોની ચૂંટણી માટે પાંચ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે. આમાં, ભાજપ કે કોંગ્રેસના એક ઉમેદવારની હાર નિશ્ચિત છે. એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પાર્ટી વિરુદ્ધ જઈને પણ ભાજપને સમર્થન આપ્યું છે. એકથી બે મતોની મારામારી વચ્ચે રસાકસીભર્યો ચૂંટણી જંગ આજે જોવા મળશે. જોકે, ચાર વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ કેન્દ્રીય ચૂંટણીપંચની મંજૂરી મળતા પાંચ વાગ્યાથી મત ગણતરી શરૂ થશે. રાત્રે આઠ નવ વાગ્યા સુધીમાં પરિણામ આવી જાય તેવી શક્યતા છે. ત્યારે 9ના ટકોરે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે.
ભાજપ અને કોંગ્રેસના તમામ ધારાસભ્યોને મતદાન કર્યું. બીટીપીના જ બે ધારાસભ્યોએ હજુ મતદાન નથી કર્યું. એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પણ મતદાન પૂર્ણ કર્યું. બીટીપીના બે ધારાસભ્યો માટે નિયમ પ્રમાણે ચાર વાગ્યા સુધી રાહ જોવામાં આવશે. બીટીપીના બે ધારાસભ્યોના મત માટે બંને પાર્ટીની કશ્મકશ ચાલુ છે. છોટુભાઇ વસાવાએ કોંગ્રેસના નેતાઓ સમક્ષ આદિવાસીએ પર થતા અત્યાચારની વાત કરી. કોગ્રેસ આદિવાસીઓ પર થતા અત્યાચાર મુદ્દે મદદ કરે. આદિવાસીઓ માટે કોંગ્રેસ કાયદો લાવે. જે રાજ્યમાં કોગ્રેસની સરકાર છે ત્યાં કોગ્રેસ માટે કાયદો લાવે તેવી બીટીપીની માંગ છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું.
રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન શરૂ થયાના એક કલાક બાદ મોટા સમાચાર સામે આવ્યા છે. BTP એ રાજ્યસભા ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે. જેથી ભાજપે નારાજ બીટીપીને મનાવવાના પ્રયાસો શરૂ કર્યાં છે. બીટીપીના મત પર ભાજપ અને કોંગ્રેસની હારજીત નક્કી છે. બંને પક્ષો માટે બીટીપીના મત જરૂરી છે. Btp ના બંન્ને નારાજ ધારાસભ્યોને મળવા ભાજપના પૂર્વ રાજ્યસભા સાંસદ ભરતસિંહ પરમાર તેમના ઘરે પહોંચ્યા છે. બંધ બારણે તેઓને મનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જોકે, Btp એ મતદાન નહિ કરવાનો નિર્ણય લીધો છે.