Publish Date: Tue, 18 Aug 2026 (15:18 IST)
Updated Date: Tue, 18 Aug 2026 (16:05 IST)
ભાવનગર જિલ્લાના વરતેજ નજીક આવેલા ઉખરલા ગામના વાડી વિસ્તારમાં મોડી રાત્રે એક ગંભીર અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વાડી વિસ્તારમાં આશરે 11 જેટલા યુવકો એકઠા થઈને જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન અચાનક "ભાગો ભાગો"ની બૂમો પડતાં જ પોલીસની રેઇડ પડી હોવાની ભય કે અફવા ફેલાઈ હતી. આ ગભરાટ અને અંધારામાં મચેલી નાસભાગ દરમિયાન ત્રણ યુવકો અચાનક વાડીમાં આવેલા ઊંડા કૂવામાં ખાબક્યા હતા. કૂવામાં ડૂબી જવાથી અને ઈજાઓ થવાથી રાહુલ પોપટભાઈ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ નામના ત્રણેય આશાસ્પદ યુવકોના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતા.
પોલીસ રેઇડનો પરિવારજનોનો આક્ષેપ, સરટી હોસ્પિટલમાં આક્રદ
બનાવની જાણ થતાં જ મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સરટી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા, જ્યાં ગમગીની અને ભાઈચારા સાથે ભારે આક્રંદ છવાઈ ગયો હતો. મૃતક અજીતસિંહના પુત્ર કુલદીપસિંહે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સવારે વાડીમાં જુગાર રમવા ગયા હતા ત્યારે જ આ ઘટના બની હતી અને પોલીસની રેડ પડી હોવાને કારણે જ લોકો જીવ બચાવવા ભાગ્યા હશે, કારણ કે વગર કોઈ કારણસર કોઈ આ રીતે નાસભાગ ન કરે. પરિવારજનોએ સમગ્ર મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગ ઉઠાવી છે.
વરતેજ પોલીસનું સ્પષ્ટીકરણ અને સમગ્ર મામલે તપાસ તેજ
ઘટના અંગે વરતેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સવારે વાડીમાંથી લાશ હોવાની માહિતી મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કૂવામાંથી એક પછી એક ત્રણેય યુવકોના મૃતદેહ બહાર કાઢીને પીએમ અર્થે સરટી હોસ્પિટલ મોકલી આપ્યા છે. પોલીસે પરિવારના રેડ અંગેના આક્ષેપોને નકારતા સ્પષ્ટ કર્યું છે કે પોલીસ તરફથી કોઈ રેઇડ કરવામાં આવી નહોતી. મોડી રાત્રે યુવકો કયા કારણોસર વાડીમાં ભેગા થયા હતા અને કયા સંજોગોમાં આ દુર્ઘટના ઘટી, તે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.