Publish Date: Thu, 07 Jan 2021 (10:22 IST)
Updated Date: Thu, 07 Jan 2021 (10:23 IST)
નવા કાયદા લાગુ થતાં APMCની આવક પર સીધી અસર પહોંચી છે .એટલું જ નહીં, સેસ બચાવવા વેપારીઓ પણ APMCની બહાર જઇને ખરીદી કરી રહ્યાં છે. આ ઉપરાંત ખેડૂતો પણ APMCમાં માલ વેચવા જ આવતાં નથી પરિણામે એવી પરિસ્થિતીનુ નિર્માણ થયુ છેકે, એપીએમસી મૃતપ્રાય અવસ્થામાં છે. આજે રાજ્યમાં નવા એક્ટની અસરને લીધે 35 APMCની આવક જ ઘટી ગઇ છે જેથી વહીવટ કરવો મુશ્કેલ બન્યો છે.સાથે સાથે કર્મચારીઓના પગારના ફાફાં થયા છે. ગુજરાતમાં હાલમાં 224 APMC કાર્યરત છે. તા.6 મે-૨૦૨૦ના રોજ રાજ્ય સરકારે વટહુકમ જારી કરીને બજારધારામાં 26 જેટલાં સુધારા વધારા કરી અમલી બનાવ્યો છે. આ નવા એક્ટને લીધે APMCના વેપારીઓને બહાર જઇને ખરીદી કરવાની છૂટ મળી છે. સેસ બચાવવા માટે વેપારીઓ પણ હવે APMCની બહાર જઇને ખેડૂતો પાસેથી માલની ખરીદી કરી રહ્યાં છે. પરિણામે ખેડૂતો પણ APMC આવતા બંધ થયાં છે.આ કારણોસર એવી સ્થિતી થઇ છેકે, APMCમાં સેસની આવક જ બંધ થઇ છે જેના કારણે કર્મચારીઓને પગારના ફાંફા થયાં છે. કેટલીય APMCમાં તો કર્મચારીઓના પગાર ઘટાડી દેવાયા છે તો કેટલીક APMCમાં કર્મચારીઓને છૂટા કરી દેવાયાં છે. નવા એક્ટને લીધે APMC હવે ડચકાં ખાઇ રહી છે. જો આ જ સ્થિતી રહી તો, આગામી દિવસોમાં કેટલીય એપીએમસીના પાટિયા પડી જશે. સેસની આવક બંધ થઇ જતાં એપીએમસનો રોજીંદો વહીવટ કેવી રીતે કરવો એ સવાલ ઉઠયો છે. આ મુદ્દે ગુજરાત રાજ્ય બજાર સમિતી કર્મચારી સંઘે મુખ્યમંત્રીને રજૂઆત કરી એપીએમસીના કર્મચારીઓને સરકારી હસ્તક માર્કેટિંગ બોર્ડમાં સમાવવા માંગ કરી છે.