અનામત મુદ્દે સુપ્રીમ સુધી લડવાનો ખર્ચો 6 સંસ્થા મળીને ભોગવીશું - જેરામ પટેલ
Publish Date: Sat, 15 Sep 2018 (13:17 IST)
Updated Date: Sat, 15 Sep 2018 (13:20 IST)
હાર્દિકના પટેલના ઉપવાસ આંદોલન પછી એસપીજી સંસ્થાના લાલજી પટેલ આંદોલન કરવાની ચીમકી આપી હતી. જેને લઇ રાજકોટમાં ઉમિયાધામના ઉપપ્રમુખ જેરામ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં શાંતિ જળવાય રહે તે પ્રાથમિકતા છે. એસપીજીને વિનંતી છે કે આંદોલન ન કરે, સરકાર આંધળી બહેરી છે. મુદ્દા મુક્યા છે સરકારમાં અને કહ્યું છે વિચારીશુ.
અનામત મુદ્દે સુપ્રીમ સુધી લડીશું જે કંઇ ખર્ચો થશે તે 6 સંસ્થા મળીને ભોગવીશું. જેરામ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સમાજના યુવાનો જ લડત ચલાવે છે તેને વડીલોનો ટેકો છે. અનામત અને ખેડૂતોના દેવા માફીનો મુદ્દો ટેકનીકલ છે. લડત આપી આ મુદ્દાઓનું નિરાકરણ લાવવા પ્રયાસ કરીશું. તમામ મુદ્દા વધુ એક વખત સરકારમાં મુકવાના પ્રયાસો કરવામાં આવશે નહીં તો સુપ્રિમ કોર્ટમાં જઇશું.
યુવાનોની લડતમાં સમાજના આગેવાનોનો ટેકો છે સરકારને કંઇ કહીએ તો તે જોઇ લેશુ કંઇક કરીશું તેવા જવાબો મળતા હોય છે માટે તે આંધળી બહેરી છે તેમ કહી શકાય. લાલજીભાઇને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું તેને પાટીદારની 6 સંસ્થા વતી કહુ છું કે કોઇ આંદોલન ન કરે. હાર્દિકના પારણા થઇ ગયા છે, ગુજરાતની શાંતિ રહે તે ઉદ્દેશ છે. સરકાર તરફથી કંઇ મને કહેવામાં આવ્યું નથી. અમારા સમાજનો પ્રશ્ન છે માટે સંસ્થાઓવતી અમે અપીલ કરીએ છીએ. લાલજીભાઇની જે માંગણી હોય તે અમને કહે તે સરકાર સુધી પહોચાડવાનો પ્રયાસ કરીશું.
જેરામ પટેલ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સમાજના લોકો પોત પોતાની રીતે માંગ કરતા હોય છે. ક્યાંય માંગણી કરનારા સાચા હોય ન હોય, ક્યાંય સરકાર સાચી હોય ન હોય. હું રાજકારણનો માણસ નથી એટલે રાજકારણમાં બહું પડવું નથી. હાલ સંસ્થાના પ્રમુખ વિદેશ છે તે આવે તેની સાથે ચર્ચા કરીને આગળ વધીશું. આ લડત સવર્ણ માટેની છે અને તમામ સવર્ણના લોકોને ફાયદો મળે તેવા પ્રયાસો કરવામાં આવશે.
આગળનો લેખ