Publish Date: Wed, 13 May 2020 (12:29 IST)
Updated Date: Wed, 13 May 2020 (12:31 IST)
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,904 કેસ નોંધાયા છે. તેની સાથે સાથે 3,246 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. છેલ્લા 24 કલાકમાં 3066 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે ગઈકાલે 2,978 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આમ કુલ 88 ટેસ્ટ વધુ થયા છે અને 11 મે કરતા 20 કેસ વધુ પણ આવ્યા છે. આમ ટેસ્ટ વધ્યા હોવાથી કેસ પણ વધ્યાં છે. અત્યાર સુધી બાકી રહેલા અમરેલી જિલ્લામાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. આ સાથે જ સમગ્ર ગુજરાત કોરોનાની ઝપટમાં આવી ગયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે સવારે 11 વાગ્યે રાજ્યમંત્રી મંડળની સતત સાતમી વીડિયો કોન્ફરન્સ કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠકમાં કોરોના સંક્રમણના આ સમયમાં પણ પ્રજાહિતના કામોના નિર્ણયો અને અસરકારક પગલાં લેવા અંગે નિર્ણયો લેવાઈ શકે છે. વિરમગામના રહેવાસી 65 વર્ષીય મુસ્તાકભાઇ વેપારી 11 મેના રોજ તાવ અને છેલ્લા સાત દિવસથી શ્વાસની તકલીફ થતા સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં દાખલ થયેલા હતા. મંગળવારે રાતે જ તેઓનું મોત નીપજ્યું હતું. તેઓને હાયપરટેન્શન, કિડની અને હ્રદયની અન્ય બીમારી પણ હતી. ત્રણ વર્ષ પહેલા બાયપાસ સર્જરી પણ કરાઇ હતી.