Publish Date: Wed, 08 May 2019 (13:02 IST)
Updated Date: Wed, 08 May 2019 (13:03 IST)
ગુજરાતનું અંબાજી મંદિર ગુજરાતમાં જ નહીં ભારતભરમાં કરોડો લોકોની આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે અને લાખો શ્રદ્ધાળુઓ અંબામાતાના દર્શન માટે આવે છે અને યાત્રિકોની સગવડતા ખાતર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થતાં બદલાવ અનુસાર મંદિરમાં પણ દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવે છે. અંબાજી મંદિરમાં દરરોજ સવાર-સાંજ બે સમય આરતી થતી હતી. પણ હવે અંબાજીના દર્શને આવતા દરેક ભગતોને આરતીનો પૂરો લાભ મળી શકે તે માટે બપોરની આરતી વિશેષ કરવામાં આવશે. અખાત્રીજનું ગુજરાતમાં અનેરું મહત્ત્વ હોવાથી યાત્રાધામ અંબાજી મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. 7મી મેથી 3જી જુલાઈ સુધી મંદિરનો સમય બદલવામાં આવ્યો હતો. જેમાં અંબાજી મંદિર સવારે 11.30ના બદલે 10.45 વાગ્યે બંધ થઈ જશે. આ સિવાય દર્શનાર્થીઓ માટે દિવસમાં માતાજીની ત્રણ વખત આરતી કરવામાં આવશે. અંબાજી મંદિરમાં સવારની આરતી 7 વાગ્યાથી 7.30 વાગ્યાની વચ્ચે કરવામાં આવશે. સવારના દર્શન 7.30થી 10.45 વાગ્યાની વચ્ચે કરવામાં આવશે. તેમ જ 12.30થી 1 વાગ્યાની વચ્ચે અંબાજી મંદિરમાં રાજભોગ આરતી થશે, જ્યારે બપોરના 1 વાગ્યાથી 4.30 વાગ્યા સુધી કરી શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું રહેશે અને સાંજની આરતી 7થી 7.30 વાગ્યાની વચ્ચે કરવામાં આવશે.