Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
ગુજરાતમાં વિજય રૂપાણી સરકારના મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારો થવાની શક્યતાઓ સુત્રો તરફથી જાણવા મળી છે. મંત્રી પરબત પટેલે રાજીનામું આપતા ખાલી પડેલા મંત્રીપદ ભરવાની સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં આવવા તલપાપડ બનેલા અલ્પેશ ઠાકોરને પણ મંત્રીપદ આપવા અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વર્તમાન મંત્રી મંડળમાં પણ ખાતા ફેરફાર કરવામાં આવે એવી શક્યતાઓ છે. ખાસ કરીને પ્રદિપસિંહ જાડેજાની સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને સૌરભ પટેલના ખાતામાં પણ ફેરફાર થવાની શક્યતા છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાને કેબિનેટમાં સ્થાન આપીને તેમના બદલે હાલના વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ગૃહ રાજ્યમંત્રી પદ આપવામાં આવે એવી શક્યતાઓ છે. આ ઉપરાંત શહેરી વિકાસ વિભાગનો હવાલો સંભાળી રહેલા મુખ્યમંત્રી પણ આ વિભાગ કોઈ અન્ય મંત્રીને આપે એવી સંભાવના છે. અલ્પેશ ઠાકોરને ભાજપમાં સમાવવા અને મંત્રીપદ આપવા અંગે હાલ વિવાદ ચાલી રહ્યો છે, જેમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી બીજા ધારાસભ્યોને પણ ભાજપમાં લઈ આવે તો તેને મંત્રીપદનો શિરપાવ આપવામાં આવે તેમ છે