Publish Date: Tue, 08 Sep 2020 (15:16 IST)
Updated Date: Tue, 08 Sep 2020 (15:18 IST)
અનલોક બાદ મોટાભાગની ડોમેસ્ટિક ફ્લાઇટમાં માંડ 50 ટકા મુસાફરો હોય છે. પરંતુ વારાણસી-કોલકાતાની ફ્લાઇટ તેમાં અપવાદ છે. વારાણસી-અમદાવાદની ફ્લાઇટ ના કેવળ પેક જઇ રહી છે બલ્કે તેનું એરફેર પણ સામાન્ય દિવસો કરતાં અઢી ગણું વધીને રૂપિયા 10 હજારને પાર થઇ ગયું છે. સામાન્ય દિવસોમાં વારાણસી-અમદાવાદનું વન-વે એરફેર રૂપિયા 4 હજારની આસપાસ હોય છે. પરંતુ હાલમાં તે રૂપિયા 6 હજારથી રૂપિયા 10 હજાર વચ્ચે જોવા મળી રહ્યું છે. આ માટેનું કારણ એ છે કે લોકડાઉન દરમિયાન જે ઉત્તર પ્રદેશના શ્રમિકો વતન પરત ફર્યા હતા. હવે અનેક કંપનીઓ તેમને ફ્લાઇટ દ્વારા પરત બોલાવી રહી છે. આ પૈકી અનેક શ્રમિકો એવા હતા જેઓ ગુજરાતથી ચાલતા ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા. પરંતુ હવે તેમના પરત ફરવા માટે એર ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગુજરાતમાં મોટાભાગના શ્રમિકો ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશાના છે. આ રાજ્યોમાંથી એક સપ્તાહ દરમિયાન ચાર સ્પેશિયલ ટ્રેન ગુજરાત આવે છે. પરંતુ તેમાં તત્કાલ ટિકિટો માટે એજન્ટો કાળા બજાર કરીને વધુ ભાડું વસુલી રહ્યા છે. આ સ્થિતિમાં પણ બીજા વિકલ્પ તરીકે કંપનીઓ ફ્લાઇટથી શ્રમિકોને પરત ફરવાના વિકલ્પ પર પસંદગી ઉતારી રહી છે. કોલકાતા-અમદાવાદનું એરફેર હાલમાં રૂ. 14527 છે, જે સામાન્ય દિવસોમાં રૂપિયા 5 હજારની આસપાસ હોય છે.