Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ahmedabad Rain Photos - અમદાવાદમાં અતિભારે વરસાદથી જળબંબાકાર: 7 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ, સ્કૂલ-કોલેજોમાં 2 દિવસની રજા, 1નું મોત

ahmedabad rain photo
ahmedabad rain photo
 અમદાવાદ શહેરમાં આજે સવારે 9:00 વાગ્યાથી શરૂ થયેલા ધોધમાર વરસાદે સમગ્ર શહેરને બાનમાં લીધું છે. માત્ર 7 કલાકના ટૂંકા ગાળામાં 8 ઇંચથી વધુ અતિભારે વરસાદ ખાબકતાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે બોપલ, સિંધુભવન રોડ અને એસ.જી. હાઈવે જેવા પોશ વિસ્તારો સહિત અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. અંડરબ્રિજો બંધ કરી દેવામાં આવ્યા છે અને ઠેર-ઠેર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે, જેમાં પેલેડિયમ મોલ પાસે મુખ્યમંત્રીનો કાફલો પણ થોડીવાર માટે ફસાયો હતો. પરિસ્થિતિને જોતાં વાસણા બેરેજના દરવાજા પણ ખોલી દેવા પડ્યા છે.

આ ભારે વરસાદની વિકટ પરિસ્થિતિ વચ્ચે શહેરમાં એક દુઃખદ ઘટના પણ સામે આવી છે. થલતેજ મેટ્રો સ્ટેશન નીચેથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા વ્યાપી ગઈ છે.
webdunia
ahmedabad rain
વરસાદ અને જળબંબાકારની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તથા વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં મોટો નિર્ણય લેવાયો છે. અમદાવાદ શહેરની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ તમામ કોલેજોમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે રજા જાહેર કરી દેવામાં આવી છે.
 
webdunia
ahmedabad rain
સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરમાં પાણી ભરાવા ઉપરાંત અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની અને મકાનની દીવાલો પડવાની ઘટનાઓ બની છે. જોધપુર વોર્ડમાં આવેલ સ્ટાર બજાર પાછળ નિર્માણાધીન 'ત્રિનયન' રહેણાંક સ્કીમની કન્સ્ટ્રક્શન સાઈટની દીવાલ ધસી પડતાં સુરક્ષાના કારણોસર આસપાસનો રસ્તો તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યો છે.
webdunia
Ahmedabad Rain
આ આકાશી આફત વચ્ચે સ્થિતિને કાબૂમાં લેવા અને લોકોની મદદ માટે અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમ સતત દોડધામ કરી રહી છે. સવારથી અત્યાર સુધીમાં ફાયરબ્રિગેડને 31 જેટલા ઈમરજન્સી કોલ મળ્યા છે, જેમાં દીવાલ પડવાના 3, વૃક્ષો ધરાશાયી થવાના 14 અને રેસ્ક્યૂ/બચાવ કામગીરી માટેના 5 કોલનો સમાવેશ થાય છે.
webdunia
Ahmedabad Rain
ફાયરબ્રિગેડના જવાનોએ તમામ સ્થળો પર તાત્કાલિક પહોંચીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. શહેરના નીચાણવાળા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને ખૂબ જ જરૂરી કામ વિના ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.




Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોનમ રઘુવંશીને સુપ્રીમ કોર્ટનો ફટકો, જામીન રદ, 3 અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ