Publish Date: Mon, 02 Oct 2023 (13:17 IST)
Updated Date: Mon, 02 Oct 2023 (13:21 IST)
ગુજરાતમાં દિવસે દિવસે અકસ્માતોની ઘટનાઓ વધતાં જાય છે. જામનગર હાઈવે પર કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતાં એક જ પરિવારના ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં.જ્યારે બે લોકોને ગંભીર અકસ્માત થતાં સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
અકસ્માતની જાણ થતાં મૃતકોના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. પ્રાપ્ત વિગતો પ્રમાણે જામનગર તાલુકાના મસિતિયા ગામના મુસ્લિમ સમાજના પીર એવા સૈયદ આમનશા બાપુ મટારી તેમના પરિવાર સાથે ધોરાજીથી ઇકોમાં પરત આવતા હતા ત્યારે જામનગર-કાલાવાડ હાઇવે પર મોટી માટલી ગામ પાસે ઈકો કાર અને ટ્રેક્ટર વચ્ચે મોડી રાત્રે ટક્કર થઇ હતી. અકસ્માતની જાણ થતાં જ મોટી માટલી ગામના સરપંચ સહિત ગ્રામજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.સ્થાનિકો અકસ્માત અંગેની જાણ પોલીસને કરાતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનું પડીકું વળી ગયું હતું અને એમાં સવાર સૈયદ આમનશા બાપુ મટારી સહિત તેમના પરિવારના સૈયદ આબેદામાં અને સૈયદ ઝેનબમાંનાં ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતાં. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બે લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જી.જી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.મધરાતે થયેલા ગોઝારા અકસ્માતમાં સૈયદ પરિવારના 3 લોકોનાં મોતના સમાચાર મળતા જ સમગ્ર મુસ્લિમ સમગ્ર સમાજ તેમજ મસિતિયા ગામમાં શોકનો માહોલ છવાયો છે.