અમેરિકાથી 33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને ત્રીજું વિમાન ઊતર્યુંઅમેરિકાથી ગેરકાયદે ભારતીયોના ડિપૉર્ટેશનનો સિલસિલો ચાલુ જ છે. રવિવારે રાતે અમેરિકાથી વધુ એક સૈન્યવિમાન અમૃતસર ઊતર્યું હતું જેમાં 112 લોકો છે. તેમાં ડઝનબંધ ગુજરાતીઓ પણ હોવાનું માનવામાં આવે છે.
પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે આ વિમાનમાં 112 ભારતીયોને લવાયા છે. પીટીઆઈએ સૂત્રો હવાલાથી લખ્યું કે આ વિમાનમાં 33 ગુજરાતીઓ છે, તેમજ હરિયાણાના 44 અને પંજાબના 31 લોકો સામેલ છે.
છેલ્લા ત્રણ દિવસની અંદર આ બીજું વિમાન છે જેમાં ભારતીયોને અમેરિકાથી ડિપૉર્ટ કરવામાં આવ્યા છે. અમૃતસરમાં જ તમામ વિમાનો ઉતારવામાં આવ્યાં છે.
સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં અમૃતસરનાં ડેપ્યુટી કમિશનર સાક્ષી સાહનીએ જણાવ્યું કે "ભારતીયોને લઈને આવેલા ત્રીજા વિમાનમાં 112 લોકો છે જેઓ ગેરકાયદે રીતે અમેરિકા ગયા હતા. તેમને ભોજન અને ડાયપર આપવામાં આવ્યાં છે. તેઓ પોતાના ઘરે જઈ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના માટે ઇમિગ્રેશનની પ્રક્રિયા ચાલુ છે તેથી થોડો સમય લાગશે."
વિમાનમાં કેટલી મહિલાઓ અને બાળકો છે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, "અમને પહેલાં ઇમિગ્રેશનની પ્રક્રિયા પૂરી કરવા દો."
ગઈ કાલે કૉંગ્રેસના સાંસદ શશી થરૂરે એ બાબતે નારાજગી દર્શાવી હતી કે અમેરિકા પોતાના સૈન્યવિમાનમાં ભારતીયોની હકાલપટ્ટી કરી રહ્યું છે.
શનિવારે પંજાબના મુખ્ય મંત્રી ભગવત માને ખાતરી આપી હતી કે ડિપૉર્ટ કરાયેલા લોકો સાથે સારી રીતે વર્તન કરવામાં આવશે અને તેમના માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારતીયો અમેરિકામાં ગેરકાયદે રહેતા હશે તો તેને સ્વીકારવા માટે ભારત તૈયાર છે. તેમણે હ્યુમન ટ્રાફિકિંગની ઇકૉસિસ્ટમને ખતમ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ઇકૉસિસ્ટમને ખતમ કરવામાં ટ્રમ્પ સરકાર પૂરો સહયોગ આપશે.