Publish Date: Mon, 13 Dec 2021 (19:43 IST)
Updated Date: Mon, 13 Dec 2021 (19:50 IST)
કાશી વિશ્વનાથ ધામનાં બાંધકામનું કામ કરનાર શ્રમિકોને સન્માન્યા અને એમની સાથે ભોજન લીધું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં શ્રી કાશી વિશ્વનાથ ધામનું ઉદઘાટન કર્યું હતું. તેમણે કાશીમાં કાલ ભૈરવ મંદિર અને કાશી વિશ્વનાથ ધામ ખાતે પ્રાર્થના કરી હતી. તેમણે ગંગા નદીમાં પવિત્ર ડૂબકી પણ લગાવી હતી.
પોતાનાં સંબોધનની શરૂઆત નગર કોટવાલ (ભગવાન કાલ ભૈરવ)નાં ચરણોમાં પ્રણામ સાથે કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે એમના આશીર્વાદ વિના કશું જ વિશેષ થતું નથી. પ્રધાનમંત્રીએ દેશવાસીઓ માટે ભગવાનના આશીર્વાદ માગ્યા હતા. પ્રધાનમંત્રીએ પુરાણોને ટાંક્યા હતા જે કહે છે કે જ્યારે કોઇ કાશીમાં પ્રવેશે છે કે તરત એ તમામ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. “ભગવાન વિશ્વેશ્વરના આશીર્વાદ, અહીં આવતા જ એક અલૌકિક ઊર્જા આપણા અંતર-આત્માને જાગૃત કરી દે છે”.
તેમણે ઉમેર્યું હતું કે વિશ્વનાથ ધામનું આ આખું નવું પરિસર એ માત્ર એક ભવ્ય ઇમારત નથી. તે ભારતની સનાતન સંસ્કૃતિનું પ્રતીક છે. તે આપણી આધ્યાત્મિક આત્માનું પ્રતીક છે. તે ભારતની પ્રાચીનતા, પરંપરાઓ, ભારતની ઊર્જા અને ગતિશીલતાનું પ્રતીક છે. પ્રધાનમંત્રીએ કહ્યું “અહીં જ્યારે કોઇ આવે છે, ત્યારે તે માત્ર આસ્થાનાં દર્શન નથી કરતો પણ અહીં આપને અતીતના ગૌરવની લાગણીનો અનુભવ થશે. કેવી રીતે પ્રાચીનતા અને નવીનતા એકસાથે સજીવ થઈ રહી છે. કેવી રીતે પ્રાચીન પરંપરાઓ ભવિષ્યને દિશા આપી રહી છે. એનાં સાક્ષાત દર્શન આપણે વિશ્વનાથ ધામ પરિસરમાં કરી રહ્યા છીએ, એમ તેમણે ઉમેર્યું હતું.