Publish Date: Mon, 10 Jun 2024 (18:12 IST)
Updated Date: Mon, 10 Jun 2024 (18:31 IST)
મણિપુરના સીએમ એન બિરેન સિંહના સુરક્ષા કાફલા પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જેમાં સીએમની સુરક્ષામાં લાગેલા બે જવાનો ઘાયલ થયા છે. બંને ઘાયલ જવાનોને ઈમ્ફાલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત સમાચાર મુજબ, અજ્ઞાત સશસ્ત્ર બદમાશો દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ એડવાન્સ સિક્યોરિટી ટીમના ઘાયલ પોલીસ કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મણિપુર પોલીસની સુરક્ષા ટીમ સીએમ બિરેન સિંહની મુલાકાત પહેલા જીરીબામ ગઈ હતી, તે જ સમયે તેમના પર હુમલો થયો.
કેવી રીતે થયો હુમલો
મળતા સમાચાર મુજબ એવુ કહેવાય રહ્યુ છે કે સીએમ એન બીરેન સિંહની અગ્રિમ સુરક્ષા ટીમ જિરીબામ જઈ રહી હતી. ત્યારે શંકાસ્પદ આતંકવાદીઓએ હુમલો કર્યો. સવારે 10.30 વાગ્યે NH 37 જીરીબામ રોડ પર કોટલેન નજીક વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. સીએમ એન બિરેન સિંહ મંગળવારે જીરીબામની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા હતા. ગયા અઠવાડિયે આ વિસ્તારમાં થયેલી હિંસામાં 70 થી વધુ ઘરો બળીને રાખ થઈ ગયા હતા. સીએમ આ માર્ગે જીરીબામ જવાની યોજના બનાવી રહ્યા હતા.
મણિપુરમાં હિંસા અટકી નથી
તમને જણાવી દઈએ કે મણિપુરમાં સીએમ બિરેન સિંહના સુરક્ષા કાફલા પર હુમલો એવા સમયે થયો છે જ્યારે રાજ્યમાં બે સમુદાયો, મેઇતેઈ અને કુકી સમુદાય વચ્ચે સ્થાનિકવાદને લઈને ચાલી રહેલો હિંસક વિવાદ હજુ અટક્યો નથી. આ વિવાદમાં સેંકડો લોકો માર્યા ગયા છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં મેઈતેઈ સમુદાયની સંખ્યા લગભગ 53 ટકા છે. કુકી સમુદાયની વસ્તી લગભગ 40 ટકા છે.