Publish Date: Fri, 27 Jul 2018 (11:35 IST)
Updated Date: Fri, 27 Jul 2018 (13:25 IST)
એક વખત અકબરના રાજમાં એક વેપારીને ઘેર મોટી રકમની ચોરી થઈ ગઈ. વેપારીએ તે ચોરીની ફરિયાદ કાજી પાસે કરી પરંતુ ઘણી તપાસ કર્યા પછી પણ ચોરી કોણે કરી છે તે ખબર ન પડી ત્યારે તે મામલો અકબરના દરબારમાં આવ્યો.
અકબર બાદશાહે ચોરને શોધી કાઢવાનો હુકમ બીરબલને કર્યો. બીરબલે તે વેપારીને બોલાવ્યો અને પૂછ્યું: ‘તમને કોઈ પર શક છે? શક હોય તો કહી દેજો, ગભરાતા નહીં. તમને તમારું ચોરાયેલું ધન મળી જશે.’
વેપારીએ જવાબ દીધો, ‘હજૂર, મારો એવો અંદાજ છે કે મારા નોકરોમાંથી કોઈ એકે આ ચોરી કરી છે. કોઈ બહારના માણસનું આ કામ નથી. પરંતુ મારા ચાર નોકરોમાંથી કોણે ચોરી કરી હશે તે હું કહી શકતો નથી.’
બીરબલે સિપાહીને મોકલી તે વેપારીના નોકરોને તેડાવ્યા. જ્યારે ચારેય નોકરો આવી ગયા ત્યારે બીરબલે ચાર એક સરખી લાંબી લાકડીઓમાંથી એક એક લાકડી નોકરોને આપી અને કહ્યું: ‘જુઓ, આ જાદુઈ લાકડી તમારે ચારેયને તમારી પાસે આજ રાત પૂરતી રાખવાની છે.’
આમ કહી બીરબલે લાકડીઓ ઉપર મંત્ર ફૂંકવાનો ઢોંગ કર્યો. પછી કહ્યું: ‘કાલે સવારે આવીને તમારે ચારે જણાએ પોતાની લાકડી મને બતાવવાની છે. જેણે ચોરી કરી હશે તેની લાકડી જાદુથી કાલ સવારે એક વેંત લાંબી થઈ જશે પણ જેણે ચોરી નહીં કરી હોય તેની લાકડી એ જ માપની રહેશે.’ આમ કહી બીરબલે ચારેય નોકરોને અલગ અલગ ઓરડામાં બંધ કરી દીધા.
હવે બન્યું એવું કે જે ખરેખર ચોર હતો તેણે ઓરડામાં જઈ વિચાર્યું કે મેં ચોરી કરી છે તેથી મારી લાકડી સવાર સુધીમાં એક વેંત લાંબી જઈ જશે. તો હું આ લાકડીમાંથી એક વેંત અત્યારે જ કાપી નાખું તો સવારે મારી લાકડી લાંબી થશે તો બધા નોકરોની જેવડી જ થઈ જશે. આમ વિચારી તે ચોર નોકરે પોતાની લાકડી એક વેંત જેટલી કાપી નાખી.
તે લાકડી કંઈ જાદુઈ નહોતી. સવારે જ્યારે ચારેય નોકરો પોતાની લાકડી લઈને હાજર થયા ત્યારે બીરબલે બધી લાકડી સાથે રાખી ને માપી અને તેણે તરત જ કહી દીધું કે આ એક વેંત નાની લાકડીવાળા નોકરે જ ચોરી કરી છે. નોકરની ચોરી પકડાઈ ગઈ હતી. તે હવે આકરી સજા મળવાના ભયથી ગભરાઈ ગયો. તેણે ચોરીની બધી વાત કબૂલ કરી લીધી. આમ બીરબલની ચતુરાઈને કારણે સાચો ચોર પકડાઈ ગયો અને વેપારીને તેનું ધન પાછું મળી ગયું અને ચોરને સજા થઈ