Publish Date: Sat, 01 Oct 2016 (12:17 IST)
Updated Date: Sat, 01 Oct 2016 (12:23 IST)
માતૃ તર્પણ વિધિ માટે ઉત્તર ગુજરાતનું સિદ્ધપુર જાણીતુ છે. તેમજ બિહારનું ગયા પિતૃ તર્પણ માટે જાણીતું છે. ત્યારે સિદ્ધપુરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી સર્જિકલ સ્ટ્રાઈકના તણાવને બાજુએ મુકીને પાકિસ્તાનના 50 પરિવારોએ શ્રાદ્ધવિધિ કરીને માતૃઋણમાંથી મુક્તિ મેળવી હતી. સિદ્ધપુરના બિંદુ સરોવર ખાતે વહેલી સવારથી જ અનેક શ્રદ્ધાળુઓ માતૃશ્રુણ માંથી મુક્તિ મેળવવા માટે પહોંચી ગયાં હતાં. સિદ્ધપુર ભૂદેવોના જણાવ્યા મુજબ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર તેમજ ગુજરાત અને પાકિસ્તાનના સિંધપ્રદેશ સહિતના વિસ્તારોમાંથી 3000 કરતાં વધુ પરિવારોએ આજે શ્રાદ્ધ વિધિ કરાવી હતી. હિતેશભાઇ પાટીલે મહારાષ્ટ્રથી આવેલા 800 પરિવારોને એકસાથે માતૃતર્પણ વિધિ કરાવી હતી. પાકિસ્તાનના સિંધપ્રદેશના શીકારપુરથી 50 પરિવારો આવ્યા હતા. દક્ષિણ ગુજરાતના ધરમપુર વલસાડનો ધોરિયા પાટીદાર સમાજ પ્રથમવાર તર્પણ વિધિ કરાવવા આવ્યા હતા. મુંબઇથી આવેલા દિલીપભાઇ લુહારે જણાવ્યું કે, સંતાનપ્રાપ્તિની શ્રદ્ધાથી આજે અહીં આવ્યો છું અને અહીંની વિધિથી મને ખૂબ જ સંતોષ થયો છે. અહીં આવેલા યાત્રિકોની ધોમધખતા તડકામાં વિધિ કરાવવી પડતી હોવાથી શેડ તેમજ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો યાત્રિકોની સુવિધામાં વધારો થઇ શકે.