Publish Date: Fri, 22 Feb 2019 (17:16 IST)
Updated Date: Fri, 22 Feb 2019 (17:20 IST)
ગુજરાત સરકારનું જાહેર દેવું વધીને 2.17 લાખ કરોડ થયું છે, જે રાજ્યના કુલ બજેટની સમકક્ષ આવી ગયું છે. એટલું જ નહીં, સરકારે છેલ્લા બે વર્ષમાં દેવાં પેટે 22,000 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું છે. વિધાનસભામાં રાજ્યના નાણા વિભાગે આપેલી માહિતી પ્રમાણે માર્ચ-2018ની સ્થિતિએ જાહેર દેવું 2,17,338 કરોડ રૂપિયા થાય છે. સપ્ટેમ્બર 2018માં રાજ્યના ધારાસભ્યોના પગાર 70,727થી વધારીને 1,16,316 અને મંત્રીઓના પગારમાં 45 હજારનો વધારો કરી 87માંથી 1 લાખ 32 હજાર કરવામાં આવ્યો છે. આમ પગારમાં 65 ટકાનો વધારો કરી પ્રજા પર વધુ એક બોજ ઝીંકવામાં આવ્યો હતો.પડતર માગણીઓ અને 7માં પગારપંચ મુદ્દે ગુજરાત એસ.ટી. નિગમના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. આ સંદર્ભે ગઈકાલે સીએમ રૂપાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે સરકારની પોલીસીની આધારે જે બોર્ડ નિગમ નુકસાન કરતું હોય એને પગારપંચનો લાભ આપતા નથી. જેને લઈ કોંગ્રેસના સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કર્યું છે કે, સરકારી કર્મચારીને રૂપાણી જી તમે કહો છો કે નિગમ નુકશાન કરે તેને પગાર પંચનો લાભ ન મળે તો તમારી સરકાર ખોટ કરે છે, દેવું દર વર્ષે લાખો રૂપિયાનું વધે છે છતાં તમે અને તમારા મંત્રીઓએ પગાર વધારો અને પગારપંચનો લાભ કેમ લીધો? નિગમનો વહીવટ તમે કરો છો. ખોટ માટે તમે જ છો જવાબદાર.