Publish Date: Sat, 04 Nov 2017 (12:38 IST)
Updated Date: Sat, 04 Nov 2017 (12:52 IST)
કોંગ્રેસમાં ઉમેદવારી પસંદગી પ્રક્રિયા વધુ તેજ બનાવાઇ છે પણ હજુ સુધી મૂરતિયા શોધવાનો મેળ પડતો નથી. ટિકિટના એવા ડખાં સર્જાયા છે કે, અંદરોઅંદરની ખેંચતાણને પગલે કોંગ્રેસે ૬૦ જેટલી બેઠકોમાં પુઃન સર્વે કરાવવો પડયો છે જેથી મત વિસ્તારની સાચી વાસ્તવિકતા જાણી શકાય. સૂત્રોના મતે,કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપે તેવા સક્ષમ ઉમેદવારો શોધવા કશ્મકશ શરૃ કરી છે
જેના ભાગરૃપે રાહુલ ગાંધીની ટીમો જ નહીં, ખાનગી એજન્સીઓએ પણ સર્વે કર્યો છે. આ સર્વે આધારે ટિકિટ આપવા કોંગ્રેસ મન બનાવ્યું છ. હાલમાં ૧૦૦ બેઠકો પર સિંગલ નામોની ચર્ચા થઇ છે. જયારે અન્ય બેઠકોમાં ઉમેદવાર પસંદ કરવા મથામણ ચાલી રહી છે. ૧૩ જેટલી બેઠકો અનામત બેઠકો પર દલિત દાવેદારો વચ્ચે જબરજસ્ત ખેંચતાણ ચાલી રહી છે. હાલમાં કોંગ્રેસના ત્રણ દલિત ધારાસભ્યો છે જયારે દસેક દલિત ધારાસભ્ય ભાજપના છે. કોંગ્રેસની વડગામ,દાણિલિમડા સહિતની બેઠકો પર ટિકીટ મેળવવા દલિત દાવેદારો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આ તરફ, જમાલપુર-ખાડિયા,વાગરા,અબડાસા સહિત કુલ પાંચ બેઠકો એવી છેકે, જયાં લઘુમતી દાવેદારો વચ્ચે ખેંચતાણ જામી છે. કુલ મળીને ૬૦ બેઠકો એવી છે કે જયાં ઉમેદવારો પસંદ કરવા ખૂબ જ અઘરા બન્યાં છે પરિણામે કોંગ્રેસે ફરીથી સર્વે કરીને વાસ્તવિકતા જાણવા મજબૂર થવુ પડયું છે. નિરીક્ષકોએ દાવેદારોને ફરી સાંભળ્યાં છે. આખીય પ્રક્રિયા પુઃન કરવી પડી છે. શનિવારે હવે સ્ક્રિનીંગ કમિટીમાં આ મુદ્દે ચર્ચા વિચારણા થશે.