Publish Date: Mon, 11 Sep 2017 (15:10 IST)
Updated Date: Mon, 11 Sep 2017 (15:22 IST)
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એક કાર્યક્રમ દરમિયાન સ્પષ્ટતા કરતા કહ્યું કે રાજયમાં ત્રીજા મોરચા અંગે કોઈ સવાલ જ પેદા નથી થતો. આગામી વિધાનસભામાં ચૂંટણીની લડાઈ ભાજપ અને કોંગ્રેસ બે જ પક્ષો વચ્ચે છે. રૂપાણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ત્રીજો મોરચો હાર્દિક પટેલ કે પછી બીજા કોઈને પણ સ્થાન આપતો નથી. ગુજરાતનું રાજકરણ હંમેશા બે પ્રમુખ પક્ષો વચ્ચે જ રહ્યું છે અને રાજયની પ્રજાએ કયારે પણ ત્રીજા મોરચાને વિકલ્પ તરીકે પસંદ કર્યો નથી. પછી તે આમ આદમી પાર્ટી હોય કે હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર સહિતના લોકો દ્વારા રચવામાં આવેલ કોઈ પક્ષ. આ સાથે જ તેમણે પોતાના પાછલા એક વર્ષના કાર્યકાળની સિદ્ઘિઓને ગણાવી હતી. જેમાં ગૌ વંશ હત્યા પ્રતિબંધ કાયદાથી લઈને સ્કૂલ ફી વધારા કાયદાનો ઉલ્લેખ કર્યો હતો. 'દલિતો પર થતા અત્યાચાર અંગે અમારી સરકારે કડકમાં કડક પગલા ભર્યા છે.
ગત વર્ષે થયેલા ઉનાકાંડના આરોપીઓ પાછલા એક વર્ષથી જેલમાં છે અને અમે કેસની સુનાવણી માટે ફાસ્ટટ્રેક કોર્ટ પણ બનાવી છે. અમારી સરકારે દલિતોને ન્યાય માટે તમામ જરૂરી પગલા તાત્કાલિક ધોરણે ભર્યા છે. અમારી સરકારે પાટીદાર સમાજના લોકોને મળીને તેમના રોજગાર અને શિક્ષણ સહિતના મુદ્દે તમામ શકય ઉપાયો કર્યા છે જેના કારણે હાર્દિક પટેલના પાટીદાર અનામત આંદોલને તેનો મુખ્ય હેતુ ખોઈ દીધો છે. પાટીદાર સમાજના અનેક મોભી આગેવાનોએ ભાજપમાં જોડાયા છે જે દર્શાવે છે કે પાટીદાર સમાજ ભાજપની પડખે છે.
webdunia
Publish Date: Mon, 11 Sep 2017 (15:10 IST)
Updated Date: Mon, 11 Sep 2017 (15:22 IST)