Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
મહાત્મા ગાંધીની અહિંસાની વિચારસરણી અને સત્યપૂર્ણ અભિવ્યકિત તરીકે જેને ઓળખવામાં આવે છે, તેવા 'હરિજન' મેગેઝીનની ફેકસીમાઈલ આવૃત્તિની રજૂઆત નવજીવન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. ૧૯૩૩ થી ૧૯૫૬ સુધી પ્રકાશિત થયેલા 'હરિજન' મેગેઝીનને ગાંધીજીનાં આત્માના પ્રતિબિંબ તરીકે પણ જોવામાં આવે છે. 'હરિજન' નું વિમોચન તા. ૨ ઓકટો. ૨૦૧૩ ના રોજ શ્રી રાજમોહન ગાંધીના હસ્તે કરવામાં આવશે.
અસ્પૃશ્યતા અને સામાજીક સુધારાઓ અંગેના મહાત્મા ગાંધીના વિચારો 'હરિજન' મેગેઝીનમાં પ્રગટ થતા હતા. 'હરિજન' મેગેઝીન અહિંસાની વિચારસરણી અને સત્યપૂર્ણ અભિવ્યકતને રજૂ કરવાની કસરત અને શિસ્ત હતી.
નવજીવન ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈએ જણાવ્યું કે, ૧૯૩૩ થી ૧૯૫૬ સુધી પ્રકાશિત થયેલા 'હરિજન' ને દળદાર સ્વરૃપે કુલ ૧૯ વોલ્યુમમાં નવજીવન ટ્રસ્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. ૧૯ વોલ્યુમ્સમાં કુલ ૮૪૦૦ પાનાઓ અને ૯૫૫ અંકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તમામ અંકોની 'ઈન્ડેકસ' નું એક વોલ્યુમ પણ પૂરવણી તરીકે હશે, જેનું કામ જાણીતા અર્થશાસ્ત્રી તથા પ્રો. હેમંતકુમાર શાહે કર્યુ છે. આમ કુલ ૨૦ વોલ્યુમ પ્રગટ થશે. આ સેટની કિંમત રૃ. ૩૦૦૦૦ છે. નવજીવન ટ્રસ્ટ દ્વારા વ્યકિતગત ખરીદનારાઓ માટે ૩૦ જાન્યુઆરી ૨૦૧૪ સુધી આ વોલ્યુમ રૃ. ૨૫૦૦૦ માં આપવામાં આવશે.
(શૈલેષ ભટ્ટ દ્વારા)