Publish Date: Wed, 19 Aug 2026 (13:35 IST)
Updated Date: Wed, 19 Aug 2026 (13:38 IST)
ગાલે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા આમને-સામને હતા. આ મેચનું પરિણામ અંતિમ દિવસના બીજા સત્રમાં નક્કી થયું. ભારતીય ટીમે શ્રીલંકાને 165 રનથી હરાવ્યું અને બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. ટીમ ઈન્ડિયાએ 372 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં શ્રીલંકા ફક્ત 206 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું. ભારત તરફથી માનવ સુથારે બીજા દાવમાં છ વિકેટ લીધી, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ બે વિકેટ લીધી. શ્રીલંકા તરફથી સોનલ દિનુષાએ બીજા દાવમાં 84 રન બનાવ્યા. ગાલે ટેસ્ટના પાંચમા દિવસે શ્રીલંકાએ છ વિકેટ ગુમાવી દીધી.
અગાઉ, ચોથા દિવસની રમતના અંત સુધીમાં, ભારતે શ્રીલંકાની ચાર વિકેટ લીધી હતી. 372 રનના મુશ્કેલ લક્ષ્યનો પીછો કરતા, શ્રીલંકાની શરૂઆત સારી રહી ન હતી. ડાબોડી સ્પિનર માનવ સુથારે ફરી એકવાર પોતાની બોલિંગ કુશળતા દર્શાવી, બે મહત્વપૂર્ણ વિકેટ લીધી. ઝડપી બોલરો મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ એક-એક સફળતા મેળવી. માનવ સુથારે અંતિમ દિવસે શાનદાર બોલિંગ કરી અને છ વિકેટ લીધી.
આ પહેલા ભારતે પોતાની બીજી ઇનિંગમાં 193 રન બનાવ્યા હતા અને શ્રીલંકા માટે 372 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ભારતીય ટીમને પહેલી ઇનિંગમાં શાનદાર બોલિંગના કારણે આ મજબૂત લીડ મળી હતી. શ્રીલંકાની પહેલી ઇનિંગ 284 રન પર સમાપ્ત થઈ હતી, જેમાં માનવ સુથારે ચાર વિકેટ લઈને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ તેમને શાનદાર ટેકો આપ્યો હતો અને ત્રણ વિકેટ લીધી હતી. ત્યારબાદ ભારતે બીજી ઇનિંગમાં 193 રન બનાવીને શ્રીલંકા માટે મોટો લક્ષ્યાંક રાખ્યો હતો. જેમ જેમ મેચ આગળ વધતી ગઈ તેમ તેમ ગાલેની પિચ બોલરો માટે વધુને વધુ મદદરૂપ થતી ગઈ અને ભારતીય સ્પિનરોએ તેનો પૂરો ફાયદો ઉઠાવ્યો.