Publish Date: Tue, 14 Jul 2026 (23:44 IST)
Updated Date: Tue, 14 Jul 2026 (23:48 IST)
ભારતીય ક્રિકેટ ટીમ અને ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ વચ્ચેની ODI શ્રેણી શરૂ થઈ ગઈ છે. શ્રેણીની પહેલી મેચ બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. T20I શ્રેણીમાં સતત ચાર હારમાંથી શીખીને, ટીમ ઈન્ડિયાએ ODI શ્રેણીની શરૂઆત જીત સાથે કરી. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયાએ પ્રથમ ODI માં ઈંગ્લેન્ડને છ વિકેટથી હરાવ્યું. આ જીતથી ભારતીય ટીમને ત્રણ મેચની ODI શ્રેણીમાં 1-0 ની લીડ મળી છે. કેપ્ટન શુભમન ગિલ અને અક્ષર પટેલ ટીમ ઈન્ડિયાની જીતના હીરો હતા. શુભમન ગિલે 80 રનની ઈનિંગ રમી હતી. ગિલને ઇનિંગની વચ્ચે જ રિટાયર્ડ હર્ટ થવું પડ્યું હતું. આ પછી, અક્ષર પટેલે વોશિંગ્ટન સુંદર સાથે મળીને ઈનિંગને સ્થિર કરી અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. અક્ષર પટેલ (57) એ અણનમ અડધી સદી ફટકારી. વોશિંગ્ટન સુંદરે પણ 52 રનની ઈનિંગ રમી. સુંદર પણ અણનમ રહ્યો.
આ પહેલા ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા, ઇંગ્લેન્ડ 47.5 ઓવરમાં 258 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે સૌથી વધુ 76 રન બનાવ્યા. રૂટ અણનમ રહ્યો. લિયામ ડોસને પણ શાનદાર 68 રન બનાવ્યા. ભારત તરફથી સ્પિનર અક્ષર પટેલે સૌથી વધુ ચાર વિકેટ લીધી. પ્રસિદ્ધ કૃષ્ણ અને ગુરનુર બ્રારે બે-બે વિકેટ લીધી. જસપ્રીત બુમરાહ અને શિવમ દુબેએ એક-એક વિકેટ લીધી.
આ શ્રેણીમાં બધાની નજર વિરાટ કોહલી અને રોહિત શર્મા પર હતી, પરંતુ બંને બેટીંગમાં નિષ્ફળ સાબિત થયા. રોહિત શર્મા ફક્ત 11 રન બનાવી શક્યા અને વિરાટ કોહલી ફક્ત 5 રન બનાવી શક્યા. વિરાટ કોહલી ઈજાને કારણે અફઘાનિસ્તાન સામેની છેલ્લી વનડે શ્રેણીમાં રમ્યો ન હતો. ઈજામાંથી સ્વસ્થ થયા પછી, તે હવે લગભગ છ મહિના પછી વનડેમાં પાછો ફર્યો છે. પ્રથમ જીત પછી, ટીમ ઈન્ડિયાની નજર હવે 16 જુલાઈએ કાર્ડિફમાં રમાનારી બીજી વનડે પર છે. ઉલ્લેખનીય છે કે, ગિલની કેપ્ટનશીપ હેઠળ ભારત વિદેશમાં તેની પ્રથમ વનડે શ્રેણી જીતની રાહ જોઈ રહ્યું છે.