Publish Date: Tue, 21 Jul 2020 (14:28 IST)
Updated Date: Tue, 21 Jul 2020 (14:35 IST)
સુરત શહેરમાંન કોરોનાના સંક્રમણે રોકવા માટે સુરત મહાનગર પાલિકાએ માઇક્રો કંટેનમેન્ટનો ઉપયોગ શોધી કાઢ્યો છે. કોઇપણ ઘરમાં એક પણ પોઝિટિવ કેસ સામે આવશે તો 14 દિવસ માટે માઇક્રો કંટેનમેન્ટ કરવામાં આવશે. માઇક્રો કંટેનમેન્ટમાં એક મકાન પણ હોઇ શકે છે અને વધુ કેસ હશે તો આખી સોસાયટી પણ સીઝ થઇ શકે છે. આ માઇક્રો કંટેનમેન્ટ વિસ્તારમાં કોઇપણ વ્યક્તિ ઘરમાંથી બહાર નિકળી શકશે નહી.
સુરતમાં માઇક્રો કંટેનમેન્ટની કાર્યવાહી ઝડપથી ચાલી રહી છે. સૌથી વધુ કતારગામ અને વરાછા વિસ્તારમાં માઇક્રો કંટેનમેન્ટની સંખ્યા વધુ છે. મળતી માહિતી અનુસાર કોરોના સંક્રમણની ગંભીરતાને ધ્યાનમાં રાખતાં માઇક્રો કંટેનમેન્ટનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. શહેરમાં કોરોના સંક્રમણને રોકવા માટે હાલ કડક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
વરાછા ઝોન-બી માં 18 કન્ટેનમેન્ટમાંથી 44 બન્યા છે. ઉધના ઝોનમાં તો 20 કન્ટેનમેન્ટમાંથી 5 ઘણા થયા હોવાનું ઝોન જણાવે છે. તો કતારગામ ઝોનમાં 102 કન્ટેનમેન્ટના 189 થયા છે. બાકીના ઝોનમાં આરોગ્ય અને ટેકનિકલ સ્ટાફ વચ્ચે સંકલનનો અભાવ છે. તેથી માઈક્રો કન્ટેનમેન્ટની કામગીરી થઇ શકી નથી. માઈક્રો કન્ટેનમેન્ટ કરવાથી કેટલાક ઠેકાણે લોકોનો નાનો મોટો વિરોધ પણ જોવા મળી રહ્યો છે. બંને તરફ રસ્તો બેરીકેટ કરી દેવાતા લોકો પણ જીવન જરૂરિયાતની ચિજવસ્તુ લેવા કઈ રીતે જવું તે સહિતની રજૂઆતો કરી રહ્યાં છે.
મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 10574 થઈ ગઈ છે. આ સાથે કોરોનાનો મૃત્યુઆંક 462 થયો છે. ગત રોજ અત્યાર સુધીમાં સૌથી વધુ 322 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ 6935 કોરોના પોઝિટિવ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
સિવિલ હોસ્પિટલમાં સોમવારે 671 પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાંથી 25 દર્દીઓ વેન્ટીલેટર પર, 51 દર્દીઓ બાઈપેપ પર અને 571 દર્દીઓ ઓક્સિજન પર સારવાર હેઠળ છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 158 પોઝિટિવ દર્દીઓ પૈકી 9 વેન્ટીલેટર પર, 10 બાઈપેપ પર અને 107 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે