સોમવાર નાણામંત્રી અરૂણ જેટલી 2016-17 નું સામાન્ય બજેટ લોકસભામાં રજુ કરશે. આર્થિક સર્વેમાં જે વિગતો બહાર પડી છે તે જોતા સંકેત મળે છે કે, બજેટ લોકલુભાવન નહી હોય. જો કે સામાન્ય લોકોને થોડી રાહત મળશે પરંતુ સરકારનું ફોકસ અર્થતંત્રને મજબુત કરવા અને રોકાણને વધારવા ઉપર હશે. સાથોસાથ કૃષિ ક્ષેત્ર ઉપર ખાસ ભાર મુકવામાં આવશે. સર્વેમાં જણાવાયુ છે કે, સરકારે ટેકસ કલેકશન ઉપર મુકવો જોઇએ. સરકાર ટેકસ છુટની સીમામાં કદાચ વૃદ્ધિ નહિ કરે અને કરશે તો પણ સીમિત દાયરામાં કરશે. બજેટમાંથી શું શું નીકળશે તે બાબતને લઇને દેશભરમાં ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે.
નાણામંત્રી અરૂણ જેટલી સોમવારે સવારે 11 વાગ્યે લોકસભામાં બજેટ રજુ કરશે. સામાન્ય બજેટ લોકો માટે શું શું ભેટ લઇને આવી રહ્યુ છે તેનો ફેંસલો સોમવારે થઇ જશે. આમ છતાં લોકોને આ બજેટથી ઘણી આશા છે. લોકોને લાગે છે કે, આ વખતે અચ્છે દિન જોવા મળશે. અહી તમામ વર્ગના લોકો બજેટથી કોઇને કોઇ અપેક્ષા રાખીને બેઠા છે. યુવાનોને આશા છે કે, રોજગારીની તકો વધશે તો મહિલાઓને આશા છે કે, રસોઇનો સામાન સસ્તો થવાની સાથે સૌંર્દય સાથે જોડાયેલી ચીજવસ્તુઓ સસ્તી થશે. ખેડુતો માને છે કે, સરકાર તેમને દેવામાંથી બહાર કાઢે, ઉદ્યોગો અનેકવિધ અપેક્ષાઓ રાખીને બેઠા છે કે, જેથી મંદીના સમયમાં તેઓને રાહત મળે, અનેક ટેક્ષ રાહતો અને ઇન્સેન્ટીવની આશા રાખીને ઉદ્યોગ બેઠુ છે તો નોકરીયાત વર્ગ ઇન્કમટેક્ષ છુટની આશા રાખીને બેઠો છે.
જો કે સરકારનો મુડ એવો છે કે, અર્થતંત્રને મજબુત કરવામાં આવે. અમીરો પાસેથી ટેક્ષ છુટ અને સબસીડી પાછી ખેંચવામાં આવે તો 1 લાખ કરોડની બચત થાય તેમ છે. સબસીડીમાં કાપ મુકવા આર્થિક સર્વેમાં જણાવાયુ છે. સરકાર બજેટમાં કોર્પોરેટ ટેક્ષ 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરે તેવી શકયતા છે. સરકાર કોર્પોરેટ જગતની લાંબા સમયની માંગણી સ્વીકારે તેવી શકયતા છે. જો કે બજેટમાં કૃષિ ક્ષેત્રના વિકાસ માટે અનેકવિધ જાહેરાતો કરવામાં આવે તેવી પુરેપુરી શકયતા છે. બજેટમાં મેઇક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપના પડઘા પડે તેવી શકયતા છે. ટેક્ષ કલેકશન વધારવા ઉપર સરકાર ભાર મુકે તેવી શકયતા છે.