Publish Date: Mon, 31 Mar 2025 (09:21 IST)
Updated Date: Mon, 31 Mar 2025 (09:23 IST)
L2 Empuraan: સાઉથ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ L2: એમ્પુરાં રિલીઝ થયા પછી વિવાદોમાં ઘેરાયેલી જોવા મળી રહી છે. ફિલ્મના એક દ્રશ્યમાં 2002ના ગુજરાત રમખાણોને જે રીતે દર્શાવવામાં આવ્યા છે તેના કારણે ફિલ્મની ટીકા થઈ રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ના હસ્તક્ષેપ બાદ, ફિલ્મના અભિનેતા મોહનલાલે ફેસબુક પર પોસ્ટ કરીને ચાહકોની માફી માંગી છે.
અભિનેતા મોહનલાલે માંગી માફી
મોહનલાલે કહ્યું, "મને ખબર છે કે 'એમ્પુરાન' ના નિર્માણમાં કેટલાક રાજકીય અને સામાજિક વિષયો શામેલ થયા છે જે મારા ઘણા પ્રિયજનોને વાંધાજનક લાગ્યા. એક કલાકાર તરીકે, મારી ફરજ છે કે હું ખાતરી કરું કે મારી કોઈપણ ફિલ્મ કોઈપણ રાજકીય આંદોલન, વિચારધારા અથવા ધાર્મિક સંપ્રદાય પ્રત્યે નફરત ન ફેલાવે." તેમણે કહ્યું, "હું અને એમ્પુરાન ફિલ્મની આખી ટીમ ફેંસને થયેલી અસુવિધા બદલ માફી માંગીએ છીએ. અમે સામૂહિક રીતે ફિલ્મમાંથી આવા વિષયોને દૂર કરવાનો નિર્ણય લીધો છે."
ફેંસનાં પ્રેમથી વધુ કશું નહિ - મોહનલાલ
અભિનેતા મોહનલાલે કહ્યું, "મેં છેલ્લા ચાર દાયકાથી મારી ફિલ્મ કરિયર તમારા લોકોમાંના એક તરીકે જીવી છે. તમારો પ્રેમ અને વિશ્વાસ મારી એકમાત્ર તાકાત છે. હું માનું છું કે તેનાથી મોટો કોઈ મોહનલાલ નથી." તાજેતરમાં, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન એમ્પુરાણના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી અને આ ફિલ્મની સમગ્ર ટીમને સમર્થન આપતા કહ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનું કોઈપણ કિંમતે રક્ષણ થવું જોઈએ.
CBFC એ એમ્પુરાનમાં 17 ફેરફાર કરવાનો આપ્યો આદેશ
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, સીબીએફસીએ મોહનલાલ અને પૃથ્વીરાજ સુકુમારનની ફિલ્મ L2: એમ્પુરાણમાં 17 ફેરફારોનો આદેશ આપ્યો છે. કેરળમાં CBFC ઓફિસે ફિલ્મની સમીક્ષા કરી અને ટીમને તેનું સંપાદન કરવા કહ્યું. જમણેરી રાજકારણની ટીકા અને ગુજરાત રમખાણોના ઉલ્લેખને કારણે તે ગરમાગરમ ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે આરોપ લગાવ્યો કે ભાજપ દ્વારા ફિલ્મની ટીકા સંઘ પરિવારની અસહિષ્ણુતાનો ભાગ છે.