Publish Date: Mon, 01 Jun 2020 (12:54 IST)
Updated Date: Mon, 01 Jun 2020 (12:58 IST)
કોરોના મહામારીની વચ્ચે આ વર્ષે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા 23મી જૂને યોજાશે, આ વખતે રથયાત્રામાં ફક્ત 3 રથ હશે અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ભગવાન નગરચર્યાએ નીકળશે. આ વખતે જળયાત્રામાં પણ શોભાયાત્રાા નહીં થાય. અત્યારે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાને લઇ રથના સમારકામની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથના પૈડાં, રથ અને રંગ રોગાનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રથના પૈડાંઓને ગ્રીસિંગ અને ફિટિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. ભગવાન જગન્નાથની રથયાત્રા કેવી રીતે કેટલા લોકોની હાજરીમાં કઈ રીતે કાઢવી તે અંગે આજે જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓની બેઠક યોજાઈ હતી. ટ્રસ્ટીઓની હાજરીમાં રથયાત્રા અંગે નિર્ણય લેવાઈ ગયો છે અને રાજ્ય સરકારને જાણ કરવામાં આવશે. ત્યારબાદ રથયાત્રા અંગે સચોટ નિર્ણય લેવામાં આવશે. આગામી 5 જૂનના રોજ જળયાત્રા યોજાવાની છે જેમાં માત્ર મંદિરના પૂજારીઓ જ જોડાશે.