એસપીને કારણે ભાજપ અને કોંગ્રેસના ગઢ છીનવાયા
, बुधवार, 7 मार्च 2012 (10:43 IST)
ભાજપ અને કોંગ્રેસને એ બેઠકો પર કારમી હાર સહન કરવી પડી છે કે જ્યાં તેમનો દબદબો હતો અને તેમની પ્રતિષ્ઠાે જોડાયેલી હતી. કોંગ્રેસને રાયબરેલી, અમેઠી અને સુલતાનપુરમાં હારનો સામનો કરવો પડ્યો છે. તો સામે ભાજપને અયોધ્યામાં હાર વેઠવી પડી છે. આ બેઠકો પર આ બંને પક્ષની હાર એટલા માટે વધુ ચોંકાવનારી સાબિત થઇ છે કે અહીં જીત માટે બંને પક્ષોએ બધું દાવ પર લગાવી દીધું હતું.ગાંધી પરિવારની મહેનત રંગ ન લાવી...રાયબરેલી, અમેઠી અને સુલતાનપુરમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત આખો ગાંધી પરિવાર પૂરું મન લગાવીને ચૂંટણી પ્રચારમાં જોડાઇ ગયો હતો. આ ત્રણેય વિસ્તાર જોડી દેવામાં આવે તો અહીં કુલ 15 બેઠક હતી, જેમાં માત્ર બે બેઠકને બાદ કરતાં તમામ પર કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. રાયબરેલીની પાંચ બેઠકમાં એકપણ બેઠક કોંગ્રેસના ખાતામાં નથી આવી. કેટલીક બેઠકો પર તો કોંગ્રેસ ત્રીજા અને ચોથા સ્થાન પર રહી છે. અમેઠીમાં કોંગ્રેસને થોડી રાહત જરૂર મળી છે, આ વિસ્તારમાં તેને પાંચમાંથી બે બેઠક મળી છે.અગાઉની વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસનો દેખાવ એટલો સારો નહોતો રહ્યો પણ આ વખતે કોંગ્રેસને આશા હતી કે પાછળની ચૂંટણીનાં કલંક ધોવા તે આ વખતે સારું પ્રદર્શન કરશે. એક ડઝન કરતાં પણ વધુ બેઠકો કોંગ્રેસના રડાર પર હતી છતાં પણ કોંગ્રેસની હારે પક્ષને કારમો ઝટકો આપ્યો છે. કોંગ્રેસ માટે આ હાર વધુ મહત્વ એટલા માટે રાખે છે કે રાહુલ ગાંધી અમેઠીથી અને સોનિયા ગાંધી રાયબરેલી બેઠકથી સાંસદ છે. આ ઉપરાંત સંજયસિંહ પણ સુલતાનપુરથી પક્ષના સાંસદ તરીકે ચૂંટાયેલા છે.અયોધ્યામાં ભાજપને રામ ન આવ્યા મદદે...એક સમયે રામમંદિરના મુદ્દે રાજનીતિની સીડીઓ પર ઉંચી છલાંગ લગાવનારો ભાજપ અયોધ્યામાં જ હારી ગયો. અયોધ્યા બેઠક પર ભાજપને 1992થી અત્યાર સુધી ક્યારેય હારનું મોંઢું જોવું નહોતું પડ્યું. પાર્ટીએ આ બેઠકને પ્રતિષ્ઠાજ સાથે જોડી લીધી હતી. પણ હારથી ભાજપને નિરાશા સાંપડી છે. જો કે, મથુરા અને કાશીમાં મળેલી જીતે આ દર્દ પર મલમ લગાવવાનું થોડુંક કામ કર્યું છે.અત્યાર સુધી લખનૌને ભાજપનો ગઢ ગણવામાં આવતો હતો. પક્ષના સૌથી કદાવર નેતા અટલ બિહારી વાજપેયીનું આ સંસદીય ક્ષેત્ર હોવાથી ભાજપ આ બેઠક માટે નિશ્ચિંત જણાતો હતો. પણ આ ચૂંટણીમાં અટલનો જાદુ નહોતો અને એસપીની સાઇકલ એ રીતે દોડી કે પૂર્વીય લખનૌ વિધાનસભાને બાદ કરતાં ક્યાંય કમળ ખીલી જ ન શક્યું. 9 પૈકી 7 બેઠકો પર કબજો કરીને સમાજવાદી પાર્ટીએ લખનૌમાં પહેલીવાર સાબિત કરી દીધું કે હવે તેમનો ગઢ રાજધાની જ હશે. વર્તમાનમાં લખનૌમાં તેમનો પોતાનો કોઇ વિધાયક પણ નહોતો. અહીં મેયર પણ ભાજપના છે અને સાંસદ પણ ભાજપના. આમ છતાં અહીં ભાજપનો જાદુ ચાલ્યો નથી.