ભાજપનો વિજય કેન્દ્ર સરકાર માટે અલ્ટીમેટમ: નરેન્દ્ર મોદી
, गुरुवार, 6 जून 2013 (09:49 IST)
ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઇ જતા અને કમળ ખીલતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખુશાલી વ્યકત કરી છે અને જણાવ્યુ છે કે ભાજપનો વિજય કેન્દ્ર મનમોહન સરકાર માટે અલ્ટીમેટમ છે. તેમણે કહ્યુ છે કે, કેન્દ્રની યુપીએ સરકારને પ્રજાએ જડબાતોડ જવાબ આપ્યો છેઃ તેમણે ભાજપના વિજય બદલ પ્રજાનો અને ભાજપના કાર્યકરોનો આભાર માન્યો છેઃ મોદીએ કહ્યુ છે કે, આ તો હજુ શરૂઆત છે. ઠેર-ઠેર આગામી દિવસોમાં કોંગ્રેસનો સફાયો થવાનો છે.કેન્દ્ર સરકાર દ્વારા આયોજીત દેશના રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠકમાં હાજરી આપવા મોદી ગઇકાલે સાંજે દિલ્હી પહોંચ્યા હતા. સવારે બેઠકમાં હાજરી આપ્યા બાદ પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા અને ગુજરાતમાં ભાજપે લોકસભાની બે અને વિધાનસભાની ચાર મળીને કુલ છ બેઠકો કોંગ્રેસ પાસેથી કબ્જે કરી લેતા તેમના ચહેરા પર મલકાટ જોવા મળતો હતો. સામાન્ય રીતે ચૂંટણીના પરિણામો ભાજપની તરફેણમાં ન આવે તો તેઓ મીડિયાને મળવાનું પસંદ કરતાં નથી પરંતુ છ બેઠકોના પરિણામો ભાજપની તરફેણમાં આવતા તેઓ નવી દિલ્હીમાં મીડિયાને મળ્યા હતા અને વડાપ્રધાન ડો. મનમોહનસિંગની હાજરીમાં યોજયેલી આંતરિક સુરક્ષાની બેઠક સંદર્ભે વાતચીત કરી તો ગુજરાતના પરિણામો અંગે ઉમળકો વ્યક્ત કર્યો હતો.તેમણે પેટાચૂંટણીમાં કોંગ્રેસની હારના સંદર્ભમાં કોંગ્રેસને એવી ચેતવણી ઉચ્ચારી કે લોકસભાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ માટે અલ્ટિમેટમ છે અને મતદારો કોંગ્રેસને પસંદ કરતા નથી તે હવે સ્પષ્ટ થઈ ગયું છે. આમ, તો આ પેટાચૂંટણી ભાજપ મોદીની લોકપ્રિયતાને કારણે જીત્યું છે પરંતુ મોદીએ જીતનો શ્રેય પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદુ અને ભાજપની ટીમને આપ્યો છે. તેની સાથે સાથે તેમણે પેટાચૂંટણીના ગુજરાતના મતદારોને પણ અભિનંદન આપ્યાં છે.