પાક ચૂંટણીના પરિણામો મુશર્રફની વિરૂદ્ધ થશે
પાકિસ્તાનમાં ગઇકાલે થોડાક છમકલા બાદ મતદાન પૂર્ણ
ઇસ્લામાબાદ(એજંસી) પાકિસ્તાનમાં યોજાયેલ મતદાન ગઇકાલે પૂર્ણ થઇ ગયું, આ ચૂંટણી લશ્કરી શાસક પ્રમુખ પર્વેઝ મુશર્રફને ફટકો આપશે તેવી આશાઓ રાખવામાં આવે છે. ચૂંટણી કમિશન અધિકારીઓએ કહ્યું હતું કે ચૂંટણી લડતા કેટલાક પક્ષના સમર્થકો વચ્ચે કેટલીક નાની અથડામણોને બાદ કરતા દેશમાં મોટા ભાગના મતદાન મથકો પર શાંતિપૂર્ણ મતદાન થયુ હતું. પાકિસ્તાનમાં ગઈ કાલે થઈ ગયેલ સામાન્ય ચૂંટણીઓના શરૂઆતી પરિણામો જોતા એવું લાગી રહ્યું છે કે પ્રમુખ મુશરર્ફ સમર્થિત પક્ષ પીએમએલ-ક્યુંને હારનો સામનો કરવો પડી શકે છે. ચૂંટણીમાં ખાસ કરીને નવાઝ શરીફનો પક્ષ બહુમતી હાંસલ કરી રહ્યો છે. પાકિસ્તાનમાં આઠ વર્ષના લાંબા ગાળા બાદ લોકશાહી ઢબે શાસન વ્યવસ્થા સ્થપાવા જઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી પ્રમુખ પરવેઝ મુશરર્ફની તાનાશાહીથી કંટાળેલા લોકોએ સામાન્ય ચૂંટણીઓમાં પોતાનું કૌવત બતાવ્યું હોય તેમ લાગે છે.
મુશરર્ફથી કંટાળેલા લોકો મુશરર્ફ સમર્થિત પક્ષને પણ સત્તા પર જોવા ઈચ્છતા નથી. આ પરિસ્થિતિમાં બેનઝીર ભુટ્ટો અને નવાઝ શરીફનો પક્ષ સયુંકત રીતે પાકિસ્તાનની સત્તા મેળવે તે સમીકરણો હાલ જણાઈ રહ્યાં છે.
આ બાજૂ હારનો સામનો કરી રહેલી સત્તાધારી પાકિસ્તાન મુસ્લિમ લીગ-ક્યું (પીએમએલ-ક્યુ)ના પ્રવક્તા તારિક અઝીમે કહ્યું કે પાકિસ્તાનના નાગરિકોએ તેમનો ચુકાદો આપી દીધો છે અને અમને તેમનો ચૂકાદો મંજૂર છે. ગઈ કાલે થયેલ ચૂંટણીના શરૂઆતી પરિણામોમાં ભુટ્ટો અને શરીફના પક્ષોને ભારે બહુમતી મળી રહી હતી. આ જોઈને તારીકે એમ પણ જણાવી દીધુ કે જો પરિણામો આ મુજબના રહેશે તો તેમનો પક્ષ વિરોધ પક્ષ તરીકે પણ બને તેટલી સફળ કામગીરી કરશે.
સત્તાધારી પક્ષના જે ધૂરધંર નેતાઓએ ગઈ કાલે થનાર ચૂંટણીઓમાં હારનો સામનો કરવો પડયો છે તેમાં પક્ષ પ્રમુખ ચૌધરી સુજ્જાત હુસૈન, તથા મુશરર્ફની કેબિનેટના લગભગ ભૂતપૂર્વ તમામ સભ્યો જેમાં શેખ રશીદનો પણ સમાવેશ થાય છે. સત્તાધારી પક્ષ જોકે આવા પરિણામોનો સામનો કરવો પડશે તે માટે તૈયાર નહતો આથી તેમને ચૂંટણીના પરિણામો આઘાતજનક લાગી રહ્યાં છે.
પાકિસ્તાનની ટીવી ચેનલના જણાવ્યાં અનુસાર ગઈ કાલે થયેલ ચૂંટણીઓમાં કુલ 272 મતક્ષેત્રોમાંથી 125 મતક્ષેત્રોના મતોની ગણતરી પૂરી થઈ ગઈ છે. જેમાં નવાઝ શરીફના પાકિસ્તાન મુસ્લિમ લીગ પક્ષે 50 સીટો , બેનઝીર ભુટ્ટોના પાકિસ્તાન મુસ્લિમ લીગ પક્ષે 39 સીટો અને સત્તાધારી પીએમએલ-ક્યુંએ1 8 સીટો મેળવી છે. એવું મનાઈ રહ્યું છે કે જો સત્તામાં વિરોધ પક્ષો આવી જશે તો મુશરર્ફ માટે પરિસ્થિતિ વધુ વિકટ બની જશે. જો કે મુશરર્ફે ચૂંટણી અગાઉ જણાવી દીધુ હતું કે ચૂંટણીના પરિણામો જે કઈ હશે તે તેમને મંજૂર હશે. એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં મુશરર્ફે જણાવ્યું હતું કે ચૂંટણીના પરિણામો એ દેશની જનતાનો પોકાર હશે અને જે પણ જીતે તેને અમે સ્વીકારીશું.
નેશનલ એસેમ્બલીમાં 60 સીટો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી હતી અને 10 સીટો લઘુમતિઓ માટે અનામત રાખવામાં આવી હતી.
મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થયુ હતુ અને પાંચ વાગ્યે પૂર્ણ થયુ હતું. હાઈ એલર્ટ મતદાન મથકો માટે સરકારે લશ્કરના 81,000 જવાનો અને 4,00,000 પોલીસ જવાનોને સુરક્ષા વ્યવસ્થા માટે ગોઠવી દેવામાં આવ્યા હતા.
ચૂંટણી પ્રચાર દરમિયાન ભૂતપૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યા થવાથી અને શ્રેણી બધ્ધ આત્મઘાતી બોંબ વિસ્ફોટ થવાના કારણે મતદાનનુ પ્રમાણ નીચુ રહ્યુ હતું.