Publish Date: Thu, 05 Sep 2024 (21:50 IST)
Updated Date: Thu, 05 Sep 2024 (22:02 IST)
ઝૂલતો બ્રિજ તૂટતા 133 લોકોના મૃત્યુ થયા હતાં. જે સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પિટિશન ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટના આદેશ મુજબ કોર્ટ કમિશનરે મોરબી જિલ્લામાં પીડિતોની મુલાકાત લઈને તેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મુક્યો હતો.આ રીપોર્ટમાં એવું જણાવાયું છે કે, સંપૂર્ણ અનાથ અથવા તો માતા-પિતા પૈકી એક વ્યક્તિ ગુમાવેલી હોય તેવા કુલ 21 બાળક છે. જેમાં 7 સંપૂર્ણ અનાથ અને 14 સિંગલ પેરેન્ટ બાળકો છે. આ પૈકી 08 છોકરીઓ છે. જે પૈકી ચાર છોકરીઓ સાથે કોર્ટ કમિશનરે વાત કરી હતી. જેમાં 17 વર્ષથી લઈને 1.5 વર્ષની છોકરીનો પણ સમાવેશ થાય છે. આ છોકરીઓનો અભ્યાસનો અને મોટી થતા તેમના લગ્નનો ખર્ચ ઓરેવા કંપની ઉપાડે તેવો કોર્ટે નિર્દેશ આપ્યો હતો.
દીકરીઓની ભણવા,લગ્નની જવાબદારી કંપનીની રહેશે
હાઇકોર્ટે જણાવ્યું હતું કે કંપનીએ ટ્રસ્ટના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવ્યા છે. જેમાંથી પીડિતોનો મેડિકલ અને ભણવાનો ખર્ચો આપવામાં આવે છે. ઉપરાંત પીડિતોને અગાઉ જણાવ્યા મુજબ દર મહિને 12 હજાર રૂપિયા આપવામાં આવે છે. આવા બાળકોને કોલેજ સુધીના અભ્યાસનો ખર્ચ કંપની ઉપાડશે. કોર્ટે ઓરેવા કંપની પાસે ભોગ બનનારને વળતર કઈ રીતે આપશો તેની વિગતો માગી હતી. કોર્ટે કહ્યું હતુ કે, વાલી, માતા-પિતા ગુમાવનારી દીકરીઓની ભણવા,લગ્નની જવાબદારી કંપનીની રહેશે. બાળકોએ જે ભણવું હોય તે ભણાવવું પડશે. એ ભણીને તમારા બધાના બોસ પણ બની શકે છે અને એ કંપની પણ ઉભી કરી શકે છે.
પીડિતોને વળતર અંગે પૂરતી માહિતી આપવી જરૂરી છે
કોર્ટ કમિશનરે જણાવ્યું હતું કે પીડિતોને ઓરેવા કંપની ઉપર વિશ્વાસ નથી. પીડિતોના કેટલાક બાળકો રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ભણે છે. પરંતુ આ હક ધોરણ 08 સુધી જ સરકાર આપે છે. ત્યાર પછી તેઓ શું કરશે? વળી જે ખાતાઓમાં કંપની તરફથી વળતર ચૂકવવામાં આવે છે તેમાં સહીની પણ તકલીફો છે. પીડિતોને વળતર અંગે પૂરતી માહિતી આપવી જરૂરી છે. અદાણીએ આવા અનાથ બાળકોના નામે 25 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ મૂકી છે. આજ એકાઉન્ટમાં કંપની તરફથી 12 હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે. ઘરના મોભી નહીં પરંતુ લાભાર્થીઓ અથવા ગાર્જીયનના નામે બેન્ક એકાઉન્ટ ખોલવું જોઈએ.